News Updates
NATIONAL

દરિયાઈ તળના બે તૃતીયાંશ ભાગમાં મોંઘી ધાતુઓ, નિષ્ણાતોએ કહ્યું- ધાતુખનનથી દરિયાઈ જીવન ખતમ થઈ જશે

Spread the love

હવે સમુદ્રના તળમાંથી કોબાલ્ટ, નિકલ અને સલ્ફાઈડ જેવી ધાતુઓ અને ખનિજો કાઢીને મોબાઈલ-લેપટોપ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. આ પ્રક્રિયાને ડીપ સી માઇનિંગ કહેવામાં આવે છે. આ પ્રસ્તાવના કારણે વિશ્વભરના પર્યાવરણ સંશોધકો અને વૈજ્ઞાનિકોમાં ચિંતા વધી ગઈ છે.

વિજ્ઞાનીઓના મતે, ઊંડા દરિયાઈ વ્યાપારી ખાણકામથી દરિયાઈ જીવન, જૈવવિવિધતા અને ઈકોસિસ્ટમ માટે ગંભીર ખતરો સર્જાશે. વાસ્તવમાં આ ખનિજો અને ધાતુઓનો ભંડાર ઘટી રહ્યો છે. જ્યારે સ્માર્ટફોન, વિન્ડ ટર્બાઇન, સોલાર પેનલ અને બેટરીના ઉત્પાદન માટે તેમની માંગ વધી રહી છે. આ ખનિજો અને ધાતુઓ કુલ સમુદ્રના તળના બે તૃતીયાંશ ભાગને આવરી લે છે.

ચાલો આપણે વ્યવસ્થિત રીતે ઊંડા સમુદ્રના ખનન અંગે વૈજ્ઞાનિકો દ્વારા વ્યક્ત કરાયેલી ચિંતાઓને સમજીએ…

1. તે પાણીને દૂષિત કરશે, જે દરિયાઈ જીવનને નુકસાન પહોંચાડશે
ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) મુજબ, ઊંડા સમુદ્રમાં વ્યાપારી ખાણકામ દ્વારા 200 મીટર (660 ફૂટ) થી 6,500 મીટર (21,300 ફૂટ) ની ઊંડાઈએ મળી આવતા ખનિજો અને ધાતુઓનું ઉત્ખનન કરવામાં આવે છે.

દરિયાના આ ઊંડાણમાં જીવોની એક અલગ જ દુનિયા વસેલી છે. આ દુનિયાને એટલે કે દરિયાઈ જીવને ખાણકામથી બચાવવાની જરૂર છે. કારણ કે ખાણકામથી ધ્વનિ પ્રદૂષણ થાય છે. પાણી પણ દૂષિત થાય છે. આનાથી દરિયાઈજીવો પર ખતરો ઊભો થઈ શકે છે.જ્યારે, ખાણકામમાં ઉપયોગમાં લેવાતા મશીનો પણ જીવોને નુકસાન પહોંચાડી શકે છે અથવા ખતમ કરી શકે છે.

2. જ્યાં ખાણકામ થયું ત્યાં ખાદ્ય સાંકળ અસરગ્રસ્ત થઈ
2020માં, જાપાની સરકારે ઉત્તર-પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં ખાણકામ કર્યું. તેની અસરોની તપાસમાં જાણવા મળ્યું છે કે જ્યાં ખાણકામ થયું છે તે વિસ્તારોમાંથી 43% વિસ્તારોમાં માછલીઓ અને પ્રાણીસૃષ્ટિએ ફરવાનું બંધ કરી દીધું છે. વૈજ્ઞાનિકોના મતે આ વિસ્તારમાં ખાણકામ અને કાંપના પ્રદૂષણને કારણે ખાદ્ય પુરવઠાને અસર થઈ હતી, જેના કારણે અહીં સમુદ્રી જીવોએ ભ્રમણ ઓછું કરી દીધું હતું.

હવે આનાથી બીજી સમસ્યા સર્જાઈ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ખાણકામ અને આબોહવા પરિવર્તનને કારણે માછલીઓ અને અન્ય જીવો હવાઈ અને મેક્સિકો વચ્ચે ફેલાયેલા ઈસ્ટર્ન પેસિફિક મહાસાગરના ક્લેરિયન-ક્લિપરટન ઝોન તરફ જવાનું શરૂ કરશે. આ વિસ્તાર 4.5 મિલિયન ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. ખાણકામની દ્રષ્ટિએ આ વિસ્તાર સૌથી મહત્ત્વપૂર્ણ છે. જ્યારે અહીં ખાણકામ કરવામાં આવશે, ત્યારે પાણી દૂષિત થશે, જેની સીધી અસર માછલીના ગિલ્સ પર પડશે. માછલીઓ ગિલ્સ દ્વારા શ્વાસ લે છે. આવી સ્થિતિમાં, તેઓ ખાણકામને કારણે મૃત્યુ પામશે.

3. સમુદ્રના તળમાં ખાણકામની અસર આબોહવા પર પણ પડશે
વિજ્ઞાનીઓ કહે છે કે સમુદ્રી તળ જૈવવિવિધતાનો ખજાનો છે. દવામાં વપરાતા જીવંત સંસાધનોનો મોટો ભંડાર પણ દરિયાના તળ પર ઉપલબ્ધ છે. પરંતુ જો સમુદ્રના તળમાં રહેલા જૈવવિવિધતાના ખજાના સાથે ચેડાં કરવામાં આવે તો પૃથ્વી જેવી છે તેવી રહી શકશે નહીં. આનાથી માત્ર દરિયાની અંદર જ નહીં પરંતુ મેદાની વિસ્તારોમાં પણ આબોહવા પર ખરાબ અસર પડશે.

ડીપ સી માઇનિંગના સમર્થકોએ કહ્યું – ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં મદદ કરશે

વૈજ્ઞાનિકોએ ઊંડા સમુદ્રના વ્યાપારી ખાણકામ અંગે ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ ડીપ સી માઇનિંગ સમર્થકો કહે છે કે, તે ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં મદદ કરશે. દુનિયાભરની ઘણી કંપનીઓ અને લોકોનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે ઈ-વ્હીકલ અને બેટરીની માગ વધી રહી છે. જ્યારે, તેમને બનાવવા માટે વપરાતા સંસાધનો સમગ્ર વિશ્વમાં ઘટી રહ્યા છે.

દરિયાના ઊંડાણમાંથી મળતાં લિથિયમ, કોપર અને નિકલનો બેટરીમાં ઉપયોગ થાય છે. જ્યારે, ઇલેક્ટ્રિક કાર માટે જરૂરી કોબાલ્ટ અને સ્ટીલ ઉદ્યોગ માટે જરૂરી મેંગેનીઝ પણ સમુદ્રના ઊંડાણમાં ઉપલબ્ધ છે.

અંદાજ મુજબ, ત્રણ વર્ષમાં વિશ્વને બમણું લિથિયમ અને 70% વધુ કોબાલ્ટની જરૂર પડશે. જ્યારે આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીનો અંદાજ છે કે, 2030 સુધીમાં, લગભગ પાંચ ગણું વધુ લિથિયમ અને ચાર ગણા વધુ કોબાલ્ટની જરૂર પડશે. આ કાચા માલનું ઉત્પાદન માગ કરતાં ઘણું ઓછું થઈ રહ્યું છે. આ તફાવતને સંતુલિત કરવા માટે, દરિયાની ઊંડાઈમાં ખોદકામને વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે.

14 દેશોને​ માત્ર ​​​​​સંશોધન માટે જ ઊંડા સમુદ્રમાં ખનન કરવાની મંજૂરી
UN સાથે જોડાયેલ ઈન્ટરનેશનલ સીબેડ ઓથોરિટી (ISA) એ 14 દેશોને માત્ર સંશોધન માટે જ ડીપ સીમાં ખનન કરવાની મંજૂરી આપી છે. આ દેશોમાં ચીન, રશિયા, દક્ષિણ કોરિયા, ભારત, યુકે, ફ્રાન્સ, પોલેન્ડ, બ્રાઝિલ, જાપાન, જમૈકા, નૌરુ, ટોંગા, કિરીબાતી અને બેલ્જિયમનો સમાવેશ થાય છે.

ભારત સરકારે 2021માં ‘ડીપ ઓશન મિશન’ને મંજૂરી આપી હતી. તેનો ઉદ્દેશ દરિયાઈ સંસાધનોની શોધ કરવાનો અને ઊંડા સમુદ્રમાં કામ કરવા માટેની ટેકનોલોજી વિકસાવવાનો છે. આ સાથે, તેનો એક ઉદ્દેશ્ય બ્લુ અર્થતંત્રને ઝડપથી પ્રોત્સાહન આપવાનો છે. બ્લુ ઇકોનોમી એક અર્થતંત્ર છે જે સંપૂર્ણપણે દરિયાઇ સંસાધન પર આધારિત છે.

જ્યારે સ્વીડન, આયર્લેન્ડ, જર્મની, ફ્રાન્સ, સ્પેન, ન્યુઝીલેન્ડ, કોસ્ટા રિકા, ચિલી, પનામા, પલાઉ, ફિજી અને માઇક્રોનેશિયા જેવા દેશો ઊંડા સમુદ્રના ખાણકામ પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે.


Spread the love

Related posts

વિટામિન A,B12,C,D,E જ નહીં Vitamin P પણ સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયદાકારક

Team News Updates

ગુજરાતમાં 7 મે મંગળવારના રોજ થશે લોકસભા ચૂંટણી માટે મતદાન, 4 જૂન મંગળવારે આવશે પરિણામ

Team News Updates

970 કરોડના ખર્ચે તૈયાર થયું નવું સંસદ ભવન, સુંદરતા જોઈ તમારી આંખો અંજાઈ જશે

Team News Updates