- વરતેજ પેટ્રોલ પંપ નજીક ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો
ભાવનગરના વરતેજ પેટ્રોલ પંપ નજીક ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતાં પત્નીની નજર સામે જ પતિનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. મહત્વનું છે આ દંપતીના લગ્ન 5 દિવસ પહેલા જ થયાં હતાં. યુવાન પત્નીને પિયર મૂકવા જતો હતો.
પત્નીને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડાઈ
ભાવનગરના સિહોરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા આશિષભાઈ બહાદુરભાઈ માવડીયા (ઉં.વ.29) અને તેમના પત્ની જયશ્રીબેન આશિષભાઈ માવડીયા એક્ટિવા પર સિહોરથી ભાવનગર તરફ આવી રહ્યાં હતાં. ત્યારે વરતેજ પેટ્રોલ પંપ નજીક ટ્રક સાથે અકસ્માત થતાં આશિષભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પત્ની જયશ્રીબેનને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
પત્નીને પિયર મૂકવા જતા સમયે અકસ્માત થયો
ઘટનાની કરૂણતા એ છે કે આશિષભાઈ અને જયશ્રી બેનના લગ્ન 5 દિવસ પહેલા જ થયા હતા. આશિષભાઈ તેમના પત્ની જયશ્રીબેનને તેમના પિયર ભાવનગરના હાદાનગર મૂકવા આવી રહ્યાં હતા. ત્યારે આ અકસ્માત થતાં આશિષભાઈનું મોત નીપજ્યું હતું. જેને લઈને પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ઘટનાને પગલે પોલીસ દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ- કૌશિક વાજા, ભાવનગર