News Updates
GUJARAT

ભરશિયાળે કેસર કેરી ‘ભૂલી પડી’!:ખેડૂતો આશ્ચર્યમાં મુકાયા કે આ સિઝનમાં કેમ ફાલ આવ્યો; પોરબંદર યાર્ડમાં હરાજી ચાલુ થઈ ગઈ, 1 કિલોનો ભાવ 701 રૂપિયા

Spread the love

જો તમારે કેસર કેરીનો સ્વાદ માણવો હોય તો ઉનાળાની રાહ જોવાની જરૂર નથી. કેમ કે હવે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કડકડતી ઠંડીની વચ્ચે ઉનાળુ કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. રાજ્યમાં ગીરની કેસર કેરી અને હવે પોરબંદર જિલ્લાની સ્થાનિક કેરીની પણ બજારમાં સારી માગ રહે છે. કેરી એ ઉનાળુ ફળ ગણાય છે અને ઉનાળામાં જ કેરી વેચાણ માટે બજારમાં આવતી હોય છે. આ વખતે વાતાવરણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણોસર ઉનાળાને બદલે ભર શિયાળે આંબામાં કેરીનો ફાલ આવતા કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈને વેપારીઓ સહિત સૌ કોઈમાં ભારે કુતૂહલ સાથે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.

પાંચ મહિના પહેલાં આંબામાં મોર આવ્યા
પોરબંદરના આદિત્યાણા ગામમાં આ વર્ષે પાંચ મહિના પહેલાં આંબાના ઝાડમાં કેરીના મોર જોવા મળી રહ્યા છે. કોઈ આંબામાં કેરીની આવક થતા આજે ભરશિયાળે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનું આગમન થયું હતું. માર્કેટિંગ યાર્ડમાં સુદામા ફ્રૂટ કંપની ખાતે 2 બોક્સ કેસર કેરી એટલે કે 20 કિલો કેસર કેરી વેચાણ માટે આવી હતી.

એક કિલો કેરીના 701 રૂપિયા ઐતિહાસિક ભાવે વેચાણ
આ કેસર કેરીનું હરાજી દરમિયાન અધધધ 14 હજાર રૂપિયા જેટલા ઊંચા ભાવે વેચાણ થયું હતું એટલે કે એક કિલો કેરીના 701 રૂપિયા ઐતિહાસિક ભાવે વેચાણ થયું હતું. આટલી વહેલી કેરીના આગમનની આ ઘટનાએ ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશમાં પ્રથમ ઘટના હોવાનું અને ભાવ પણ ઐતિહાસિક હોવાનું હરાજી કરનાર વેપારી નિતીન દાસાણીએ જણાવ્યું હતું.

પોરબંદર જિલ્લામાં કેસર કેરીનું મબલખ ઉત્પાદન
પોરબંદર જિલ્લાના હનુમાન ગઢ, બિલેશ્વર, ખંભાળા તેમજ કાટવાણા અને આદિત્યાણા સહિતના ડેમ કાંઠે આવેલાં ગામોની જમીનને જાણે કે આંબાનો પાક માફક આવી ગયો હોય તેમ છેલ્લાં કેટલાંક વર્ષોથી અહીં મબલખ કેસર કેરીનું ઉત્પાદન થાય છે. પોરબંદર જિલ્લાના આ સ્થાનિક ગામોની કેસર કેરીની ગુણવત્તા અને ફળ મોટું હોવાથી સ્થાનિક બજારમાં તેની ભારે માગ રહેતી હોય છે.

ભરશિયાળે આંબામાં કેરીનો ફાલ આવ્યો
આમ તો દર વર્ષે ઉનાળામાં માર્ચ મહિનાથી કેરીની આવક બજારમાં થતી હોય છે, પરંતુ આ વખતે ભરશિયાળે કેસર કેરીનો અમુક આંબાઓમાં ફાલ આવતા કેરીનું વાવેતર કરનાર ખેડૂતોમાં પણ આશ્ચર્યમાં મુકાયા છે. આટલા મહિના પહેલાં કેરીનાં મોટાં ફળ આંબામાં પાકતા ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી રહી છે.


Spread the love

Related posts

બીમારીઓ આસપાસ  નહીં ફરકે,  આ 3 ચીજો ખાંડની જગ્યાએ ડાયટમાં સમાવેશ કરો 

Team News Updates

PATAN:માતૃવંદના ઉત્સવ કાર્યક્રમ યોજાશે સિદ્ધપુરમાં તા. 24 અને 25 નવેમ્બરના રોજ,ફરીદા મીર અને કિંજલ દવે શ્રોતાઓને ડોલાવશે

Team News Updates

ત્રણ વર્ષમાં 9338 દર્દીઓએ ડાયાલીસીસનો લાભ લીધો પાટણની જનરલ સિવિલ હોસ્પિટલમાં

Team News Updates