નવરાત્રિના તહેવાર દરમિયાન શહેર હોય કે ગામડું તમામ જગ્યાએ ગરબાના આયોજન થાય છે. જેમાં ઘણી જગ્યાએ ફક્ત મહિલાઓની ગરબીઓ યોજાઈ છે તો કેટલીક જગ્યાએ પુરૂષોની પણ ગરબી યોજાઈ છે. જોકે, બનાસકાંઠાના એક ગામમાં પુરૂષો મહિલાઓનો વેશ ધારણ કરી ગરબે ઘૂમે છે. મહિલાઓનો પોષાક ધારણ કરી નોરતીયા બની ગરબે ઘૂમે છે. આ ગરબામાં કોઈ મહિલાઓ ગરબે ઘૂમી શકતી નથી, મહિલાઓ ફક્ત બેસીને ગરબા નિહાળે છે.
નવરાત્રિના તહેવારની શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય લોકો ધામધૂમથી ઉજવણી કરે છે. આ તહેવાર દરમિયાન ઠેર ઠેર ડીજે તેમજ ઑર્કેસ્ટ્રા તાલે લોકો ગરબે ઘૂમતા હોય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાનું વડગામ તાલુકાના જલોત્રા ગામ કે જ્યાં ઠાકોર સમાજના યુવાનો દ્વારા થતી નવરાત્રિની ગરબી આજે પણ વર્ષો જૂની પરંપરા મુજબ થાય છે. જેમાં નથી હોતું ડીજે કે નથી ઓરકેસ્ટ્રા. ગામના જ યુવાનો ગરબા ગાય છે અને દેશી ઢોલના તાલે ગામના પુરુષો મહિલાઓનો વેશ ધારણ કરી નોરતીયા બની હાથમાં મોર પીંછ રાખી ગરબે ઘૂમે છે. આ નવરાત્રિમાં કોઈ મહિલા ગરબે ઘૂમતી નથી, મહિલાઓ ફક્ત બેસીને પુરુષોને ગરબે રમતા જુએ છે.
અહિંની માન્યતા એવી છે કે, 150 વર્ષ પહેલાં જલોતરા ગામમાં ભારે રોગચાળો ફાટી નીકળ્યો હતો. તે સમયે ગામમાં મનુષ્ય સહિત ઢોર ઢાંખર પણ રોગચાળામાં સપડાયાં હતાં. ગામ પર મોટી આફત આવી ઊભી હતી તે સમયે ગામના લોકોએ અનેક બચાવ કામગીરી હાથ ધરી જોકે, તે સમયે એક વિદ્વાન દ્વારા ગામના આ સમાજના લોકોને નવરાત્રિના તહેવારની ઉજવણી સંદર્ભે પુરુષો મહિલાઓનો વેશ ધારણ કરી ગરબે ઘુમે અને આ નવરાત્રિમાં ગરબે ઘુમે તેવું કહેવામાં આવ્યું અને તે દિવસથી જ શરૂ થઇ આ અનોખી નવરાત્રિ. આ નવરાત્રિને 152 વર્ષ વીતી ગયાં છતાં પણ આ સમાજના લોકોએ આ પરંપરા હજુ પણ જાળવી રાખી છે. આ આધુનિક યુગમાં 152 વર્ષ જૂની આ અનોખી નવરાત્રિ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ નવરાત્રિને જોવા ફક્ત જલોત્રા ગામના જ નહિ પણ દૂર દૂરના વિસ્તારોના લોકો પણ જલોત્રા ગામે આવી રહ્યા છે.