વડોદરામાં રહેતો હિરપરા પરિવાર પોતાની પાંચ વર્ષની દીકરીને સંસ્કૃત ભાષાના શ્લોક શીખવી રહ્યો છે. પાંચ વર્ષની વેદા બે વર્ષની હતી ત્યારથી જ કડકડાટ સંસ્કૃત શ્લોકો બોલે છે. વેદાએ શ્રી કૃષ્ણાષ્ટકમ સ્ત્રોત્રના 9 શ્લોકને માત્ર 2 મિનિટ અને 49 સેકન્ડમાં પઠન કરીને ઈન્ડિયા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવી અનોખી સિદ્ધિ મેળવી છે.

વડોદરા શહેરના વેમાલી વીસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર હેલિક્સમાં રહેતી અને નવરચના પ્રેપ સ્કૂલના જુનિયર વર્ગમાં અભ્યાસ કરતી 5 વર્ષની વેદા પાર્થભાઈ હિરપરાએ ઈન્ડિયા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.
વેદાના માતા ફાલ્ગુની હિરપરાએ જણાવ્યું હતું કે, આપણા હિન્દુ સનાતન ધર્મનું જ્ઞાન આપણી આવતી પેઢીને મળી રહે તેવા શુભ આશયથી મારી દીકરીને સંસ્કૃત ભાષામાં રૂચિ વધે તે માટેના પ્રયત્નો નાનપણથી જ કરવામાં આવી રહ્યા છે. તે બે વર્ષની હતી ત્યારથી જ સંસ્કૃત શ્લોકો બોલે છે. ધીરે-ધીરે સંસ્કૃતમાં ભગવત ગીતા, શિવતાંડવ સ્તોત્ર, મહિસાસુર મર્દિની સ્તોત્ર, 12 જ્યોતિર્લિંગ અને હનુમાન ચાલીસા સહિતના 100થી વધુ શ્લોક પણ તેને મોઢે આવડે છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારી દીકરી હજી વાંચતા તો શીખી નથી, પરંતુ, હું સંસ્કૃત શ્લોકો બોલતી હતી અને મારી પાછળ પાછળ તે પણ શ્લોક બોલતી હતી. ધીમે ધીમે તે મારી સાથે સાથે શ્લોક બોલવા લાગી. હું એને સંસ્કૃત શ્લોક શીખવવા માટે રોજ એક કલાક આપું છું. મારી દીકરી ક્યારેય મોબાઈલ કે ટીવી જોતી નથી. અમે તેને પૂરતો ટાઈમ આપીએ છીએ. જેથી તેને મોબાઈલ અને ટીવી જોવાની જરૂર પડતી નથી. હવે અઠવાડિયામાં એક કલાક સાથે બેસીને ટીવી જોઈએ છે. એ સિવાય ટીવી ક્યારેય ચાલુ થતી નથી. જો આપણે એની સામે મોબાઈલ નહીં જોઈએ તો એ પણ મોબાઈલ નહીં માગે. આપણે એને આપીશું તો તેને મોબાઈલની જરૂર જ નહીં પડે.

વધુમાં જણાવ્યું હતું કે, આપણી હિન્દુ સંસ્કૃતિનો વારસો આપણે આપણા બાળકને આપવો જ જોઈએ. આપણે અત્યારે જોઈએ છીએ કે, કેરાલા સ્ટોરી થાય છે, વિધર્મીઓ બાળકીઓને ફસાવી જાય છે. જ્યારે આપણા બાળકોને આપણી સંસ્કૃતિનું નોલેજ હશે ત્યારે આપણું બાળક તેમાં ફસાશે નહીં. બાળકના ભવિષ્ય માટે આપણી સંસ્કૃતિ શું છે તે તેને સમજવી જરૂરી છે. વેદાએ જણાવ્યું હતું કે, મારી મમ્મી મને સંસ્કૃત શ્લોક શીખવાડે છે અને એ પણ એ શીખવું ગમે છે. મમ્મી બોલે છે અને હું એ સાંભળીને શીખું છું.