News Updates
JUNAGADHSAURASHTRA

ચુડવાની ગોઝારી નદી ત્રણ જિંદગી ભરખી ગઈ:માણાવદરના 12 ખેત મજૂરો ભરેલી રિક્ષા નદીના વહેણમાં તણાઈ, ત્રણ મહિલાઓના મોત, નવને રેસ્ક્યૂ કરાયા

Spread the love

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી આવતા કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે. ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો છે. ત્યારે આ અણધાર્યા વરસાદે માણાવગરમાં ત્રણ જિંદગી છીનવી લીધી છે. માણાવદર ગઈકાલે પડેલા અનરાધાર વરસાદને કારણે ચુડવા ગામની નદી પુર આવ્યું હતું. જેમાં છત્રાસા અને ચુડવા ગામની વચ્ચે આવેલા ખેતરોમાં કામ કરવા આવેલા લાઠ ગામના 12 ખેત મજૂરો ભરેલી રિક્ષા નદીના વહેણમાં તણાઈ હતી. જેમાંથી 9 મજૂરોને રેસ્ક્યૂ કરાયા હતા. જોકે, ત્રણ મહિલાઓ લાપતા થઇ હતી. જેમના મૃતદેહને શોધીને પી.એમ અર્થે ખસેડાયા છે.

સદનસીબે નવ લોકોનો જીવ બચી ગયો
રિક્ષા નદીના પૂરમાં તણાયાની અને મહિલાઓ ડૂબ્યા જાણ વહીવટી તંત્રને થતા જૂનાગઢ કલેક્ટરે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા આદેશ આપ્યો હતો. માણાવદર વહીવટી તંત્રના મામલતદાર, ટીડીઓ, ફાયર,વિભાગ, એનડીઆરએફ અને પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. જોકે, સદનસીબે નવ લોકોનો જીવ બચી ગયો હતો. જ્યારે ત્રણ મહિલાઓ ડૂબ્યાની જાણ આસપાસના લોકોને થતા લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા.

મધરાતે એક મૃતદેહ મળ્યો, બાકીના બે વહેલી સવારે
એનડીઆરએફની ટીમે મોડી રાત્રે મહામહેનતે એક મહિલાનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે આજે વહેલી સવારે અન્ય બે મૃતદેહ બહાર કઢાયા હતા. શાંતાબેન રાઠોડ (ઉ.વ. 60), સંજનાબેન સોલંકી (ઉં.વ.18) અને ભારતીબેન સોલંકી (ઉ. વ. 40) નામની આ ત્યારે ત્રણેય મહિલાઓના મૃતદેહોને પીએમ માટે માણાવદર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અણધારી આફતના કારણે આ મૃત્યુ પામેલી ત્રણેય ખેત મજૂર મહિલાઓના પરિવાર પર શોકનું આભ ફાટ્યું છે.

આજે પણ કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભરઉનાળે ઠેર-ઠેર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે પણ ગુજરાતમાં ગાજવીજ અને વાવોઝોડા સાથે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને અમદાવાદ, મધ્ય ગુજરાતના દાહોદ, દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપી; સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, બોટાદ અને કચ્છ વરસાદ પડશે. આ દરમિયાન પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક રહેશે.

કમોસમી વરસાદે ગઇકાલે જૂનાગઢમાં ત્રણ જિંદગીઓ છીનવી લીધી છે. ત્યારે હવે નજર કરીએ ગઇકાલના વરસાદ પર… ગઇકાલે અમરેલી, બનાસકાંઠા, કચ્છ અને પાટણ સહિત અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. જે વિસ્તારથી વાંચો નીચેના ફકરામાં.

અમરેલીના અનેક વિસ્તારમાં માવઠું
ગુજરાતમાં માવઠાંની આગાહી વચ્ચે છેલ્લા સાત દિવસથી અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. મંગળવારે સાવરકુંડલા, રાજુલા અને ખાંભા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના આદસંગ, ઘનશ્યામનગર, ખોડિયાણા સહિતનાં ગામડાંમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વૈશાખ મહિનામાં ભરઉનાળે આદસંગ ગામ પાસે આવેલી શિર નદીમાં પૂર આવ્યું હતું.

ભારે ઉકળાટ બાદ બનાસકાંઠામાં વરસાદ
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પણ પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ વરસાદ આવતાં ઠંડક પ્રસરી હતી. ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો હતો. પાલનપુર ઉપરાંત વડગામ, ડીસા, ધાનેરા, અમીરગઢ સહિતના પંથકમાં વરસાદ વરસ્યો હતો. યાત્રાધામ અંબાજી અંબાજી સહિત પાંસા, દાંતા, રીંછડીમાં લગભગ 1 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો.

ભુજ, મુન્દ્રા અને માંડવી તાલુકામાં વરસાદ
કચ્છમાં સતત એક સપ્તાહથી શરૂ થયેલો કમોસમી વરસાદ આજદિન સુધી યથાવત્ રહ્યો છે. જિલ્લામાં મંગળવારે અનેક સ્થળે માવઠું થતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. મંગળવારે બપોરે ભુજ, મુન્દ્રા અને માંડવી તાલુકામાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. ભુજ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે સામાન્ય ઝાપટું પડતાં જમીન ભીની થઇ હતી.


Spread the love

Related posts

ગોંડલમાં કમોસમી વરસાદને કારણે પાકને નુક્સાન, ખેડૂતો રડી પડ્યા

Team News Updates

ભરઉનાળે ધોધ જીવંત બન્યો:કચ્છના લખપતમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ કુંડી ધોધમાં ખળખળ પાણી વહેતા થયા, ધોધના નયનરમ્ય દૃશ્યો નિહાળવા સહેલાણીઓ ઉમટ્યા

Team News Updates

ગીર સોમનાથમાં આઈકોનિક પ્લેસ સોમનાથ મંદિર ખાતે ઉત્સાહપૂર્વક થઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

Team News Updates