News Updates
INTERNATIONAL

જયશંકરે કહ્યું- કેનેડા હિંસાને પ્રોત્સાહન આપી રહ્યું છે:વિદેશ મંત્રીએ કહ્યું- અમારા ડિપ્લોમેટ્સને ધમકી આપવામાં આવી રહી છે, તેઓ તેને લોકશાહી કહીને યોગ્ય ગણાવી રહ્યા છે

Spread the love

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યાના કારણે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવની અસર ન્યૂયોર્કમાં પણ દેખાઈ રહી છે, જ્યાં વિદેશ મંત્રી જયશંકરે મંગળવારે યુએન જનરલ એસેમ્બલીને સંબોધી હતી. આ પછી, કાઉન્સિલ ફોર ફોરેન રિલેશન્સમાં બોલતા તેમણે કહ્યું કે કેનેડામાં અલગતાવાદી તાકાતો, હિંસા અને ઉગ્રવાદ સંબંધિત ગુનાઓ વધી રહ્યા છે.

જયશંકરે કહ્યું- કેનેડામાં અમારા ડિપ્લોમેટ્સને ડરાવવામાં અને ધમકાવવામાં આવી રહ્યા છે, અમારા કોન્સ્યુલેટ પર હુમલો કરવામાં આવે છે. લોકશાહીમાં આવું જ થાય છે એમ કહીને આ બધું યોગ્ય ગણાવવામાં આવી રહ્યું છે. જો એવી કોઈ ઘટના છે જે એક મુશ્કેલીજનક મુદ્દો છે અને કોઈ મને સરકાર તરીકે થોડી માહિતી જણાવે છે, તો હું ચોક્કસપણે તેની તપાસ કરીશ.

જયશંકરે કહ્યું- કેનેડાને ઘણી વખત આતંકવાદીઓ વિશે માહિતી આપી
જયશંકરે એ પણ ચિંતા વ્યક્ત કરી હતી કે રાજકીય લાભ ખાંટવા કેનેડા આ બાબતોમાં ખૂબ જ નરમ વલણ અપનાવી રહ્યું છે. વિદેશ મંત્રીએ કહ્યું- ભારતે કેનેડાને ગુનાઓ અને આતંકવાદીઓ અંગે ઘણી માહિતી આપી છે અને ઘણા લોકોના પ્રત્યાર્પણની વિનંતી પણ કરી છે.

અમે તેમને કેનેડા અને તેના નેતાઓથી સંચાલિત સંગઠિત અપરાધ વિશે ઘણી માહિતી આપી છે. આવા ઘણા આતંકવાદી નેતાઓ છે જેમની ઓળખ થઈ ગઈ છે. નિજ્જરની હત્યાના ભારતના આરોપો અંગે જયશંકરે કહ્યું – અમે કેનેડાને કહ્યું છે કે આ ભારત સરકારની નીતિ નથી.

જયશંકરે કહ્યું- કેનેડાએ અમને આરોપોના પુરાવા આપવા જોઈએ
જયશંકરે વધુમાંકહ્યું- હજુ પણ જો તેમની પાસે કંઈક ખાસ હોય તો તેમણે અમને જણાવવું જોઈએ. સંપૂર્ણ માહિતી વિના કોઈ પગલું ભરી શકાય નહીં. ખરેખરમાં, કેનેડાએ હજુ સુધી નિજ્જરની હત્યાના આરોપો અંગે કોઈ પુરાવા દર્શાવ્યા નથી. જો કે, થોડા દિવસો પહેલા પીએમ ટ્રુડોએ કહ્યું હતું કે તેમણે અઠવાડિયા પહેલા ભારત સાથે પુરાવા શેર કર્યા હતા.

બીજી તરફ, કેનેડાના આરોપો પાછળ ફાઈવ આઈઝ એલાયન્સના ઈન્ટેલિજન્સ શેરિંગના અહેવાલ પર વિદેશ મંત્રીએ કહ્યું- હું આ જોડાણનો ભાગ નથી અને ન તો એફબીઆઈમાં છું. તમે ખોટા વ્યક્તિને પ્રશ્ન પૂછો છો.

ખરેખરમાં, ફાઈવ આઈઝ એક ઈન્ટેલિજન્સ શેરિંગ એલાયન્સ છે, જેમાં કેનેડા, અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામેલ છે. હાલમાં, NYT એ તેના અહેવાલમાં પુષ્ટિ કરી હતી કે આ એલાયન્સે નિજ્જરના મૃત્યુ અંગે માહિતી એકત્ર કરવા માટે સાથે મળીને કામ કર્યું હતું.

કેનેડાએ યુએનમાં કહ્યું- કોઈના રાજકીય ફાયદા માટે લોકશાહી સાથે સમાધાન નહીં કરે
યુએનમાં કેનેડાના રાજદૂત બોબ રેએ કહ્યું કે વિદેશી દખલગીરીને કારણે લોકશાહી જોખમમાં છે અને તેથી રાજકીય લાભ માટે ઝુકાવી શકાય નહીં. તેમણે કહ્યું કે એવા સમયે જ્યારે આપણે સમાનતાના મહત્વ પર ભાર મૂકીએ છીએ, ત્યારે આપણે ન્યાયી અને લોકતાંત્રિક સમાજના મૂલ્યોને જાળવી રાખવાના છે. અમે કોઈના રાજકીય ફાયદા માટે ઝૂકી શકીએ નહીં.

એવું જોવામાં આવી રહ્યું છે કે વિદેશી દખલને કારણે લોકશાહી જોખમમાં છે. સત્ય તો એ છે કે આપણે જે નિયમો માટે સંમત થયા છીએ તેનું પાલન નહીં કરીએ તો આપણા સમાજની મૂળભૂત રચનાને અસર થશે.

UNમાં વિદેશ મંત્રીએ કહ્યું- રાજકારણ માટે આતંકવાદને પ્રોત્સાહન આપવું ખોટું છે
આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે યુએન જનરલ એસેમ્બલીને સંબોધ હતી. આ દરમિયાન તેમણે કેનેડાનું નામ લીધા વિના કહ્યું હતું કે- રાજનીતિ ખાતર આતંકવાદને પ્રોત્સાહન આપવું ખોટું છે. અમે માનીએ છીએ કે સાર્વભૌમત્વ માટે આદર મહત્વપૂર્ણ છે, પરંતુ આ સન્માન પસંદગીયુક્ત હોવું જોઈએ નહીં. જયશંકરે કહ્યું હતું કે, આતંકવાદ, ઉગ્રવાદ અને હિંસા મામલે રાજકીય લાભ મેળવવા મુજબની કાર્યવાહી ન કરવી જોઈએ.

ખરેખરમાં, 18 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન ટ્રુડોએ કેનેડાની સંસદમાં ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું કે કેનેડાની ધરતી પર તેના નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટ સામેલ છે. ટ્રુડોએ માંગ કરી હતી કે ભારત સરકાર સત્ય સુધી પહોંચવામાં તેમનો સાથ આપે. જો કે, ભારતે કેનેડાના આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

નિજ્જરની 18 જૂન 2023ના રોજ હત્યા કરવામાં આવી હતી
18 જૂન, 2023ની સાંજે કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારાના પાર્કિંગમાં બે યુવકોએ ખાલિસ્તાન ટાઈગર ફોર્સના ચીફ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર પર ગોળીબાર કર્યો હતો. નિજ્જરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. નિજ્જરને ભારતે ભાગેડુ જાહેર કર્યો હતો અને તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ હતું.


Spread the love

Related posts

ઇઝરાયલે ગાઝામાં ઘૂસીને ત્રીજા દિવસે પણ હુમલા કર્યા:UNએ યુદ્ધ રોકવાનો ઠરાવ પસાર કર્યો; ભારત સહિત 45 દેશે મતદાન કર્યું નહિ

Team News Updates

એટલાન્ટિક મહાસાગરમાં ટૂરિસ્ટ સબમરીન 2 દિવસથી ગુમ:ટાઈટેનિકને બતાવવા જતી હતી, તેમાં બ્રિટિશ અબજપતિ, 2 પાકિસ્તાની સહિત 5 પ્રવાસીઓ સવાર હતા

Team News Updates

ઈમરાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હિંસા:6નાં મોત, દેશભરમાં ઈન્ટરનેટ બંધ; લાહોરમાં ગવર્નરનું ઘર સળગાવાયું, રાવલપિંડી આર્મી હેડક્વાર્ટરમાં તોડફોડ

Team News Updates