રાજકોટ મનપા તંત્ર દ્વારા જાહેરમાં ગંદકી કરતી તેમજ નોટિસો આપવા છતાં સ્વચ્છતા નહીં જાળવતી હોટલો સીલ કરવાની ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત જાહેર રસ્તા ઉપર ગંદકી કરતી બે હોટલો અગાઉ સીલ કરવામાં આવી હતી. ત્યારે આજે શહેરનાં વોર્ડ નં. 10માં એ.જી. ચોક કાલાવડ રોડની આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ અને હરિ યોગી લાઇફ પફ શોપ નામની વધુ બે દુકાનો સીલ કરવામાં આવી છે. આ બંને હોટલોને નોટિસ આપી વહીવટી ચાર્જ પણ વસુલાયો હતો. છતાં સ્વચ્છતા નહીં જાળવતા આકરું પગલું લેવામાં આવ્યું હતું.
બંને હોટલનાં સંચાલકોને નોટિસ અપાઈ હતી
પ્રાપ્ત વિગત મુજબ આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ અને હરિ યોગી લાઇફ પફ શોપ દ્વારા આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હતો. આ બાબતે નોટિસ ફટકારી વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવી હતી. ઉપરાંત આ હોટલના સંચાલકોને જાહેરમાં ગંદકી નહીં કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવારનવાર સુચના આપવામાં આવી હતી. તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જાળવતા તા. 30 ઓક્ટોબરનાં રોજ સ્થળ તપાસ કરતાં હોટલની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી આ બંને હોટલનાં સંચાલકોને નોટિસ આપીને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
લોકોમાં સ્વયં જાગૃતિ આવે તે ઈચ્છનિયઃ આનંદ પટેલ
આ અંગે મ્યુ. કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ અભિયાનમાં લોકો પણ નાગરિક તરીકે ફરજ બજાવે તે અપેક્ષિત છે. જાહેરમાં ગંદકી કરતા લોકો સામે આ અગાઉ અનેક વખત પગલાં લેવાયા છે, આમ છતાં ક્યાંક કેટલાક લોકો હજુ પણ ભૂલ કરતા રહે છે. લોકોમાં સ્વયં જાગૃતિ આવે તે ઈચ્છનિય છે, પરંતુ જ્યારે આવું સંભવ ન બને ત્યારે વહીવટી તંત્ર કડક પગલાં લેવા પડે છે. જાહેરમાં સ્વચ્છતાને નજર અંદાજ કરી ગંદકી કરનારા લોકો અને વ્યવસાયી સંકુલો સામે વહીવટી ચાર્જ/સિલિંગ સહિત પગલાં લેવામાં આવશે.
સાફ-સફાઈની કાળજી રાખવાની ખાતરી આપી
ઉલ્લેખનીય છે કે, મનપા તંત્રની કડક કાર્યવાહી બાદ રાજકોટ ટી. એસો.ના હોદેદારોએ મ્યુ. કમિશ્નર આનંદ પટેલને રૂબરૂ મળી હોટલ પાસે જોવા મળેલી જાહેર ગંદકી અંગે દિલગીરી વ્યક્ત કરી હતી. સાથે ચાની હોટલ પાસે સ્વચ્છતા જાળવવા જરૂરિયાત મુજબ ડસ્ટબિન રાખવા અને ગ્રાહકોને જ્યાં ત્યાં કચરો ન ફેંકતા ડસ્ટબિનમાં નાંખવા સમજાવવા અને સ્વચ્છતા અભિયાનમાં સાથસહકારની લેખિત ખાતરી આપી હતી. તેમજ ચાની હોટલ પાસે જાહેરમાં કચરો ના થાય તેમજ હોટલના સ્ટાફ દ્વારા સમયાંતરે સાફ-સફાઈ થતી રહે તેની કાળજી રાખવાની ખાતરી આપી હતી.