News Updates
INTERNATIONAL

ઈમરાન ખાનના ઘરમાં 40 આતંકવાદીઓ છુપાયા છે:પાક.ની પંજાબ સરકારે કહ્યું- 24 કલાકમાં અમને સોંપી દો, નહીંતર કાર્યવાહી માટે તૈયાર રહો

Spread the love

પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે 9 અને 10 મેના રોજ થયેલી હિંસા પર કડક વલણ અપનાવવાનું ચાલુ રાખ્યું છે. બુધવારે ઇન્ફોર્મેશન મિનિસ્ટર આમિર મીરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ‘ઈમરાન ખાને જમાન પાર્ક વાળા ઘરમાં 40 આતંકીઓ હાજર છે. જો ઈમરાન ખાને 24 કલાકમાં તેઓને પોલીસને હવાલે ના કર્યા, તો તેઓ એક્શન માટે તૈયાર રહે.’

મીરના આ નિવેદન પછી તરત જ પેરામિલિટ્રી ફોર્સ (પાકિસ્તાની રેન્જર્સ)એ ખાનના ઘરને ચારેય તરફથી ઘેરી લીધા છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે ફોર્સ પણ ઓપરેશન માટે તૈયાર છે. 18 માર્ચે જ્યારે પોલીસ ખાનની ધરપકડી કરવા ગઈ, ત્યારે તેમના પણ ઘણા હુમલાઓ થયા હતા. પેટ્રોલ બોમ્બ ઉપરાંત ફાયરિંગ કરી હતી. જેમાં 63 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

દરમિયાન, ઇસ્લામાબાદ હાઇકોર્ટે એકવાર ઇમરાન પર દયા દાખવી. બુધવારે તેમના પ્રોટેક્ટિવ જામીન 31 મે સુધી લંબાવવામાં આવ્યા હતા. જો કે, નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (એનએબી)એ ખાનને 18 મેના રોજ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. અલ કાદિર ટ્રસ્ટ કેસમાં NAB દ્વારા ખાનની 9 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

સરકાર પાસે ગુપ્તચર અહેવાલ ઉપલબ્ધ

  • પંજાબ સરકારના મંત્રી આમીર મીરે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કહ્યું- અમારી પાસે તમામ ટેક્નિકલ અને ઇન્ટેલિજન્સ પુરાવા છે. અમે 9 મેથી ખાનના જમાન પાર્ક હાઉસમાં ચાલી રહેલી ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા. આ માટે ખાસ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
  • આમીરે આગળ કહ્યું- તેમના ઘરમાં 40 આતંકીઓ હાજર છે. તેમને પોલીસને સોંપવા માટે ખાન પાસે માત્ર 24 કલાકનો સમય છે. આ એ લોકો છે જેમણે આર્મી કોર્પ્સ કમાન્ડરના ઘર પર હુમલો કર્યો હતો. આ લોકોએ પેટ્રોલ બોમ્બ ફેંક્યા અને સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો. આ એ જ લોકો છે જેમણે આર્મી હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો.
  • સરકારના આ મંત્રીએ કહ્યું- અમને આશા છે કે ખાન 24 કલાકમાં આ તમામ લોકોને પોલીસ અને સુરક્ષા દળોને સોંપી દેશે. જો આમ ન થાય તો અમારી ટીમ કાર્યવાહી માટે તૈયાર છે.

સેનાએ કહ્યું- જડબાતોડ જવાબ આપશે
મંગળવારે આર્મીના કોર્પ્સ કમાન્ડર અને પછી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક થઈ હતી. હિંસા અને તેના અધિકારીઓના ઘરો પર હુમલા અંગે સેનાએ કહ્યું- હુમલાઓ આયોજનબદ્ધ અને ષડયંત્ર હેઠળ કરવામાં આવી રહ્યા છે. સેનાને દેશદ્રોહી કહેવામાં આવી રહી છે. અમે ગુનેગારોની ઓળખ કરી લીધી છે. હવે તેમને યોગ્ય જવાબ આપવામાં આવશે. મહત્વપૂર્ણ છે કારણ કે કેટલાક લોકો ગૃહ યુદ્ધ ઇચ્છે છે. ઈસ્લામાબાદમાં રેડ એલર્ટ છે.

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાંથી ખાનની ધરપકડને ગેરકાયદેસર ગણાવી
પીટીઆઈની અપીલ બાદ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલે ગુરુવારે સાંજે ઈમરાનને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. ચીફ જસ્ટિસ બંદ્યાલે કહ્યું કે હાઈકોર્ટ પરિસરમાંથી થયેલી ધરપકડ ન્યાયતંત્રના ઈતિહાસની સૌથી અપમાનજનક ઘટના છે. તેમણે કહ્યું કે ઈમરાનની ગેરકાયદેસર ધરપકડ બાદ જે પ્રકારની ગરબડ થઈ છે તે યોગ્ય નથી. અમે ઈચ્છીએ છીએ કે દેશમાં શાંતિ પુનઃસ્થાપિત થાય.

ઈમરાને સુપ્રીમ કોર્ટમાં કહ્યું- મારી ધરપકડ નથી થઈ, મારું અપહરણ કરવામાં આવ્યું છે
ખાન જ્યારે કોર્ટમાં પહોંચ્યા ત્યારે ચીફ જસ્ટિસે ઈમરાનને તેની તબિયત વિશે પૂછ્યું. તેના પર ખાને કહ્યું- મારી ધરપકડ કરવામાં આવી નથી, મારું અપહરણ કરવામાં આવ્યું છે. કસ્ટડીમાં માર મારવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસે કહ્યું- અમે તમને મુક્ત કરવાનો આદેશ આપી રહ્યા છીએ. તમારે તમારા રાજકીય વિરોધીઓ સાથે વાત કરવી જોઈએ. તેનાથી દેશમાં શાંતિનો માહોલ સર્જાશે. મુક્તિ બાદ ઇમરાને કહ્યું- મારી ધરપકડ એવી રીતે કરવામાં આવી જાણે હું આતંકવાદી હોઉં. ગુનેગાર જેવો વ્યવહાર કર્યો. લાકડીઓ વડે માર માર્યો હતો. 145થી વધુ નકલી કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

શું છે અલ-કાદિર ટ્રસ્ટ કેસ

  • સરકારના કહેવા પ્રમાણે, જ્યારે ઈમરાન વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે જમીન માફિયા મલિક રિયાઝને મની લોન્ડરિંગના કેસમાં ફસાવ્યો હતો. લંડનમાં તેના 40 અબજ જપ્ત કર્યા. બાદમાં બ્રિટિશ સરકાર દ્વારા આ નાણાં પાકિસ્તાનને સોંપવામાં આવ્યાં હતાં. ઈમરાને આ માહિતી કેબિનેટને પણ નથી આપી.
  • આ પછી ઈમરાને અલ-કાદિર ટ્રસ્ટની રચના કરી. તેણે ધાર્મિક શિક્ષણ આપવા માટે અલ-કાદિર યુનિવર્સિટીની રચના કરી. આ માટે મલિક રિયાઝે અબજો રૂપિયાની જમીન આપી હતી. બુશરા બીબીને હીરાની વીંટી પણ ભેટમાં આપી હતી. એને બદલામાં રિયાઝના તમામ કેસ પડતા મૂકવામાં આવ્યા હતા. તેને કરોડો રૂપિયાના સરકારી કોન્ટ્રેક્ટ પણ મળ્યા હતા.
  • ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું- સરકારી તિજોરીને 60 અબજ રૂપિયાનો ફટકો પડ્યો. 13 મહિનામાં એકપણ વાર ઈમરાન કે બુશરા પૂછપરછ માટે આવ્યાં નથી. 4 વર્ષ પછી પણ આ યુનિવર્સિટીમાં માત્ર 32 વિદ્યાર્થી છે.

Spread the love

Related posts

આયોવામાં ચેકિંગ દરમિયાન ખાદ્ય સુરક્ષાના કારણે રેસ્ટોરન્ટ અને ફૂડ ટ્રકને અસ્થાયી રૂપે બંધ કરવાની નોટિસ આપવામાં આવી

Team News Updates

ઇટાલીની PM મેલોનીએ મોદી સાથે સેલ્ફી લીધી:#Melodi શેર કરીને લખ્યું- બેસ્ટ ફ્રેન્ડ સાથે; કિંગ ચાર્લ્સને પણ મળ્યા PM

Team News Updates

પેરિસના રસ્તાઓ પર પેલેસ્ટાઇનના સમર્થનમાં રેલી કાઢનારા પર છોડાયા આંસુ ગેસના ગોળા, તોપો પણ ફેંકાઇ

Team News Updates