News Updates
SURAT

જિંદગીનો અંત આણનાર 5ને નવજીવન આપતો ગયો:સુરતમાં બ્રિજ પરથી પડતું મૂકનાર 26 વર્ષનો રત્નકલાકાર બ્રેનડેડ, કિડની, લિવર, ચક્ષુઓનું દાન કરી પરિવારે માનવતા મહેકાવી

Spread the love

ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. સુરતથી વધુ એક અંગદાન ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કિરણ હોસ્પિટલથી કરાવવામાં આવ્યું છે. બ્રિજ પરથી પડતું મૂકનાર જેનિશ વલ્લભભાઈને ગુજરાતી બ્રેનડેડ જાહેર થયો હતો, આથી તેમના પરિવારે જેનિશનાં કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

જીલાની બ્રિજ પરથી તાપી નદીમાં કૂદી ગયો
મૂળ ભાવનગરના માંડવીના અને હાલ સિંગણપોર આદર્શ સોસાયટીમાં રહેતો જેનિશ કતારગામમાં આવેલી ડાયમંડની કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. જેનિશ 7 જૂનના રોજ સવારે 7.30 કલાકે ફરજ પર ગયો હતો. તેને સવારે 9.30 કલાકે પોતાની સાથેના કર્મચારીને કહ્યું, હું હમણાં નાસ્તો કરીને આવું છું. અડધો કલાક સુધી જેનિશ નાસ્તો કરીને પરત ન ફરતાં આજુબાજુમાં તેની તપાસ કરવામાં આવી, પરંતુ તે મળ્યો નહિ. એ બાદ તેના મોબઈલ પર ફોન કરતાં એક અજાણી વ્યક્તિએ જેનિશનો ફોન ઉપાડીને કહ્યું, જે ભાઈનો ફોન છે તે ભાઈ જીલાની બ્રિજથી હમણાં જ તાપી નદીમાં કૂદી ગયા છે.

બચાવ થયો, પણ મગજમાં હેમરેજ થઈ ગયું
ફાયરબ્રિગેડના જવાનો અને આજુબાજુના માછીમાર ભાઈઓએ તેને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. નિદાન માટે CT સ્કેન કરાવતાં બ્રેન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. પરિવારજનોએ વધુ સારવાર માટે તેને કિરણ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં ગતરોજ જેનિશને બ્રેનડેડ જાહેર કર્યો હતો.

પરિવારે અંગદાનની સંમતિ આપી
ડોનેટ લાઈફની ટીમે જેનિશનાં પરિવારજનોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને એનું મહત્ત્વ સમજાવ્યું હતું. જેનિશના પિતા વલ્લભભાઈ અને મામા અરવિંદભાઈએ જણાવ્યું હતું કે અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાનના સમાચારો વાંચતા હતા તેમજ યુ-ટ્યૂબ ચેનલ અને ફેસબુક પર ડોનેટ લાઈફના અંગદાનના વીડિયો જોતા હતા, ત્યારે અમને લાગતું હતું કે આ એક ખૂબ જ સમાજ ઉપયોગી કાર્ય છે. મૃત્યુ પામ્યા પછી તો શરીર રાખ જ થઇ જવાનું છે, તેના કરતાં અંગદાનથી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળે છે.

પિતા પણ રત્નકલાકાર
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે અમારો દીકરો બ્રેનડેડ છે, ત્યારે તમે તેનાં અંગોનું દાન કરાવો. તેના અંગદાનથી અમારો દીકરો આ દુનિયામાં જીવી રહ્યો છે, તેવી અમને લાગણી થશે. આમ ભારે હૈયે તેમણે તેમના બ્રેનડેડ પુત્રના અંગદાનની સંમતિ આપી હતી. જેનિશના પરિવારમાં તેના પિતા વલ્લભભાઈ જેઓ શિવ ઈમ્પેક્સમાં રત્નકલાકાર તરીકે ફરજ બજાવે છે, માતા ભાવનાબેન, બહેન જિનલ અને શીતલ જેઓ પરિણીત છે. ભાઈ નિખિલ ઓસ્ટ્રેલિયામાં કામ કરી રહ્યો છે.

અંગદાનથી પાંચને નવજીવન બક્ષ્યું
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતાં લિવર અને કિડની સુરતની કિરણ હોસ્પિટલને ફાળવવામાં આવ્યાં હતાં. દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી 37 વર્ષીય યુવતીમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 32 વર્ષીય યુવકમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ નવસારીના રહેવાસી 39 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલા ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પિટલમાં બે જરૂરિયાતમંદ દર્દીમાં કરવામાં આવશે.

દેશ-વિદેશના 1042 વ્યક્તિને નવું જીવન મળ્યું
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1135 અંગો અને ટિસ્યૂઓનું દાન કરાવવામાં આવ્યું છે, જેમાં 470 કિડની, 202 લિવર, 46 હૃદય, 36 ફેફસાં, 8 પેન્ક્રીઆસ, 4 હાથ, 1 નાનું આતરડું અને 368 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશની કુલ 1042 વ્યક્તિને નવુંજીવન અને નવી દૃષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે.


Spread the love

Related posts

ચા પીવા નીકળ્યો ‘ને પરત જ ન ફર્યો:સુરતમાં યુવકની ચપ્પુના ઘા મારી હત્યા, મિત્રની હાલત પણ ગંભીર; ઝઘડો જોઈ પરત પરતા મોતને ઘાટ ઉતાર્યો

Team News Updates

સુરતની એથર ઈન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગથી 24 કામદારો દાઝ્યા; અચાનક સે બ્લાસ્ટ હુઆ ઔર હમ ભાગને લગેઃ ફર્સ્ટ પર્સન

Team News Updates

ક્રાઇમ પેટ્રોલ જેવી મર્ડર મિસ્ટ્રી:પત્નીએ દીકરીઓ સાથે મળી ગુજરાતમાં પતિને મોતને ઘાટ ઉતાર્યો; વતન પહોંચી પરિવારને કહ્યું, ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં પતિનું મોત થયું

Team News Updates