સુરત શહેર ગુનાખોરીનું હબ બની રહ્યું છે. રોજબરોજ ચોરી, હત્યા, મારપીટના ગુનાઓ બનતા રહે છે. તેવામાં સાયબર ક્રાઈમના ગુનાઓ પણ વધી ગયા છે.
આવી જ એક ઘટના સુરતના અમરોલી વિસ્તારમાંથી સામે આવી રહી છે. જેમાં અમરોલીમાં કેવાયસી અપડેટ કરવાના નામે એમ્બ્રોડરી વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે.
કોઈ અજાણ્યા વ્યક્તિએ ખાતાધારકને ફોન કરીને કહ્યું હતું કે, તમારું ખાતું બંધ થઈ ગયું છે. જેને તમારે ચાલુ કરાવવા માટે આધાર કાર્ડ, મોબાઈલ નંબર, પાન કાર્ડ , એટીએમ કાર્ડ નો નંબર વગેરે આપવું પડશે. ત્યારબાદ ભોગ બનેલા વ્યક્તિએ અજાણ્યા વ્યક્તિને બધી ડીટેલ્સ આપી દીધી હતી.
પછી તો શું હતું ગુનાખોર ને બધી માહિતી મળી જતા વેપારીના ખાતામાંથી ૧.૯૫ લાખની રકમ ઉપાડી લીધી હતી. આ કેસમાં અમરોલી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.