News Updates
RAJKOT

આ બાપા 21 મિનિટમાં 21 લાડુ ઝાપટી ગયા:રાજકોટમાં સરપદડ ગામના 73 વર્ષના વૃદ્ધે શરૂઆતની 3 મિનિટમાં જ 5 લાડુ ખાધા, એક લાડુ 100 ગ્રામનો

Spread the love

રાજકોટમાં ઠેર-ઠેર ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રેસકોર્સમાં શહેર ભાજપ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરાયું છે. જેમાં રોજ વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી રહી છે. ગઈકાલે ભાજપ આયોજિત ગણેશ મહોત્સવમાં લાડુ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સરપદડના 73 વર્ષના લાડુવીર ગોવિંદભાઈ લુણાગરીયા 21 મિનિટમાં 21 લાડું આરોગીને વિજેતા થયા હતા. ગોવિંદભાઈએ શરૂઆતની 3 મિનિટમાં જ 5 ને પાછળની 17 મિનિટમાં બીજા 16 લાડુ ચટ કર્યા હતા. એક લાડુનું વજન 100 ગ્રામ હતું. એટલે 2 કિલો 100 ગ્રામ લાડુ આરોગ્યા હતા. જ્યારે 10 લાડુ ચટ કરી જનાર મહિલાએ પણ જીત મેળવી હતી.

મહિલાઓએ પ્રિતીબેન રૂપારેલિયાએ મેદાન માર્યું
પ્રાપ્ત વિગત મુજબ ગત વર્ષે 23 લાડુ જમી જનાર ગોવિંદભાઈ આ વખતે ફરી વિજેતા થયા હતા. બીજા ક્રમે આવેલા મોકાસણના માવજીભાઈ ઓળકિયા સાડા 13 લાડુ ખાઈ ગયા હતા. લાડુ સ્પર્ધામાં મહિલાઓમાં પ્રિતીબેન રૂપારેલીયા 10 લાડુ ખાઈ પ્રથમ ક્રમે રહ્યા હતા. રેસકોર્સમાં લાડુ સ્પર્ધા યોજાતા તેમાં 100 ગ્રામનો એક લાડુ દાળ અને પાણી સાથે પિરસાયા હતા. પ્રથમ 5 મિનીટમાં 5 લાડુ ખાઈ શકનાર કવોલિફાઈડ થતા હતા.

માવજીભાઈ સાડા તેર લાડુ ખાઈ બીજા ક્રમે રહ્યા
ત્યારબાદ બીજા ક્રમે રહેલા માવજીભાઈએ સાડા તેર લાડુએ અટકી જતા સરપદડના ગોવિંદભાઈ તેમના ગત સાલના વિક્રમ 23 લાડુથી 2 લાડુ ઓછા ખાવા છતા વિજેતા થયા હતા. ત્રીજા ક્રમે આવેલ રમેશભાઈ પાંચાણી અને કમલેશ ચૌહાણ 13 લાડુ પણ જમી શક્યા નહોતા. મહિલાઓમાં પ્રિતિબેન રૂપારેલિયાએ 10 લાડુ અને વૈશાલીબેને આશરે 7 લાડુ ખાધા હતા. શ્રદ્ધાબેન બાવળિયા નામની મહિલાએ 11 લાડુ ખાઈ લીધા હતા. પણ તેમને ઊલટી થઈ જતા સ્પર્ધામાંથી બહાર થઈ ગયા હતા.

લાડુ સ્પર્ધા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની
આ તકે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, એકમાત્ર રાજકોટ શહેર ભાજપ દ્વારા દર વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન અહીં દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે જ અનેક સ્પર્ધાઓ પણ યોજાઇ છે. જેમાં ખાસ લાડુ સ્પર્ધા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. ગઈકાલે પણ અહીં લાડુ સ્પર્ધા યોજવામાં આવી હતી.


Spread the love

Related posts

RAJKOT:400થી વધુ લોકોને પોઈઝનિંગ,રાજકોટના ગોખલાણા ગામમાં

Team News Updates

RAJKOT:દાળ-ચોખા અને સ્નેલ સેલ્સના મિશ્રણથી બન્યું છે રંગ ઘર,આસામની પ્રાચીન ધરોહરને મળ્યું 43મી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનું સન્માન

Team News Updates

રાજકોટીયન્સને મળી આવાસની ભેટ:1548 આવાસનું લોકાર્પણ અને 1010 આવાસોનું ખાતમુહૂર્ત કરાયું, PM મોદીએ સ્વચ્છતા જાળવવા અપીલ કરી

Team News Updates