News Updates
JUNAGADH

‘ભરઉનાળે વરસાદ’:15 દિવસમાં બીજીવાર આખો વિસ્તાર પાણીથી છલકાયો,જૂનાગઢમાં રોડની કામગીરી દરમિયાન પાણીની પાઈપલાઈનમાં ભંગાણ

Spread the love

જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં નવો રસ્તો બનાવવા માટે જૂનો રસ્તો તોડવામાં આવી રહ્યો છે. જેને લઈને પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાયુ હતું. સવારે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાની સાથે જ પાણીનો ફુવારો છૂટ્યો હતો અને આજુબાજુમાં પાણી પાણી થઈ ગયું હતું. ઉનાળામાં પણ ચોમાસા જેવા દ્દશ્યો સર્જાયા હતા. આ વિસ્તારમાં પાણી ભરાવાને કારણે રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત રસ્તાઓ ખોદી નાખતા વાહન ચલાવવું પણ ખૂબ જ મુશ્કેલ બન્યું હતું. ત્યારે 15 દિવસમાં આ બીજી વખત આ વિસ્તારમાં કામગીરી દરમિયાન પાણીની પાઈપલાઇનમાં ભંગાણ થયું હતું. જેથી પાણીનો વેડફાડ થયો હતો. વિપક્ષ દ્વારા કામ નબળું હોવાની ફરિયાદો કરવામાં આવી છે.


જોષીપરા વિસ્તારમાં નવા રોડ બનાવવા માટે તેમજ ગેસ લાઈન અને અન્ય લાઈનનું ફીટીંગ કામકાજ કરવા માટે આ રસ્તો તોડવો જરૂરી હતો. જેથી નવો રસ્તો બનાવવા જૂના રસ્તાને ખોદી નાખતા પાણીની પાઈપલાઇનમાં ભંગાણ થયું હતું અને હજારો લિટર પાણી રસ્તા પર ફરી વળ્યું હતું. એક બાજુ ઉનાળાની સિઝનમાં પાણીનો વેડફાટ થતા અમુક વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ પણ ઊભી થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ આગામી દિવસોમાં તાત્કાલિક આ લાઈન રીપેર કરવામાં આવશે અને પાણીના વિતરણ વ્યવસ્થાને કોઈ અસર ના પહોંચે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે, તેવી હૈયાધારણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપી છે.


વિપક્ષના કોર્પોરેટર લલિત પણસારાએ જણાવ્યું હતું કે, સરદારપુરા મુખ્ય રોડ પર છેલ્લા ત્રણ મહિનાથી રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામ દરમિયાન રોડ પર આવેલી પાણીની પાઇપલાઇન તોડી તેને ફરી રીપેર કરવામાં આવી હતી. રોડ પર કાકરી પાથરી રોલ ફેરવી રેવલ કરવામાં આવી હતી. આજે ફરી પાણીની પાઈપલાઈન તૂટી હતી. જેથી હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. આ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન તૂટતા લોકો પણ પરેશાની ભોગવી રહ્યા છે. અત્યારે મહાનગરપાલિકા દ્વારા બેદરકારી પૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં નજીકમાં જ કન્યા છાત્રાલય છે ત્યારે વિદ્યાર્થિનીઓને પણ રોડ અને પાણીને લઈ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે.


સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું હતું કે, સરદારપુરા મેઈન રોડથી કન્યા છાત્રાલય સુધીના રોડની કામગીરી હાલમાં શરૂ છે. આજે જૂનો રોડ હતો તે ભૂગર્ભ ગટર અને ટોરેન્ટની ગેસ લાઈન નાખવાના કારણે રોડ તૂટી ગયો હતો. આ રોડને નવો બનાવવાની મહાનગર પાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે ગટર અને ગેસની પાઈપલાઇનનું કામ થયું હોવાના કારણે પાણીની લાઈન ડેમેજ થઈ છે. જે જગ્યા પર પાણીની લાઈન તૂટી છે તેની હાલ કામગીરી શરૂ કરવામાં આવી છે. જે રોડ બનાવવાના કારણે જે પાણીની લાઈન ડેમેજ થઈ છે. તેમાંથી આ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે હાલ તેની કામગીરી શરૂ કરવામાં આવી છે.


સરદારપુરા વિસ્તારમાં પણ છેલ્લા ત્રણ માસથી રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે. ત્યારે હજુ સુધી કામગીરી પૂર્ણ નથી થઈ ત્યારે ગત મોડીરાત્રીના સરદાર પરા વિસ્તારમાં આવેલ કન્યા છાત્રાલય પાસેનો રસ્તો પણ ખોદી નાખવામાં આવ્યો છે. જેના પગલે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જવા પણ મુશ્કેલી પડી હતી. જોષીપરા ફાટકથી સરદારપુરા સુધીનો પૂરો રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે. આ વિસ્તારમાં અંદાજે એક લાખથી વધુની વસ્તી છે. રસ્તા ખોદી નાખ્યા બાદ ડાયવર્ઝન પણ આપેલ ન હોય જેને લઇ આ રસ્તે થી પરેશાની ભોગવી પડે છે.


ત્રણ દિવસ પહેલાં વિરોધ પક્ષના કોર્પોરેટર લલિત પણસારાએ જણાવ્યું હતું, આ રસ્તા પર પાણીની લાઈનો તૂટી ગયેલ છે.લોકોના ઘરમાં પીવાનું પાણી પણ આવતું નથી. આ વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીનો લોકો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સ્ટ્રીટલાઈટના કેબલ તૂટી જતા સ્ટ્રીટ લાઇટ રાત્રિના બંધ હોવાથી અકસ્માતો સર્જાય છે. રેલવે ફાટક થી જોષીપરા તરફ જવાના રસ્તાઓ તંત્ર દ્વારા ખોદી નાખવામાં આવ્યા છે. ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ આ રસ્તાઓ બનાવવામાં આવ્યા નથી. જોષીપરા કન્યા છાત્રાલયના સ્થળે રાતો રાત રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. આ રોડ ના લીધે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે. અને રાત્રીના સમયે વાહનો પસાર થતા અકસ્માતો સર્જાય છે. આ રસ્તા પર પાણીની લાઈનો તોડી નાખવામાં આવી છે જેને લઇ આ વિસ્તારના લોકો પાણી વગર હેરાન થઈ રહ્યા છે.


Spread the love

Related posts

ગીર સોમનાથમાં આઈકોનિક પ્લેસ સોમનાથ મંદિર ખાતે ઉત્સાહપૂર્વક થઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

Team News Updates

કેરી રસિકો આનંદો ! માવઠા બાદ પણ કેસર કેરીની પુષ્કળ આવક, કેરીના ભાવમાં પણ ઘટાડો

Team News Updates

શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે સેવાનો મહાયજ્ઞઃ 58મા જન્મદિવસે દેશભરમાં 58થી વધુ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Team News Updates