News Updates
SURAT

સવા લાખની સામે 1.50 લાખ લોકોએ યોગ કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું

Spread the love

વિશ્વ યોગ દિવસની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારે 6 વાગે Y-જંક્શન ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાજરીમાં લોકો ઉજવણી કરવા પહોંચ્યા છે, જેમાં મોટી સંખ્યામાં શહેરભરના 1.25 લાખ જેટલા લોકો એકત્રિત થવાના હતા, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી હતી. આજે સુરતમાં યોજાયેલા યોગ કાર્યક્રમમાં સુરતીઓએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો અને સવા લાખની સામે 1.50 લાખ લોકોએ યોગ કર્યો હતો. PM મોદી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. CM ભૂપેન્દ્ર પટેલને ગિનિસ બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિએ ગિનિસ બુક ઓફ રેકોર્ડનું પ્રમાણપત્ર આપ્યું હતું.

ભારતે હંમેશાં જોડવાનું કામ કર્યું: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું હતું કે, યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયું છે. પૃથ્વીના બે ધ્રુવ મળી રહ્યા છે. આપના ઋષિઓએ કહ્યું છે કે, જે જોડે છે તે યોગ છે. યોગ પૂરા સંસારને એક પરિવારમાં સમાવેશ કરે છે. એટલે કે વસુધૈવ કુટુંબકમની થીમ પર આયોજન કરવામાં આવ્યું છે. જે લોકો યોગ સાથે વર્ષોથી જોડાયા છે, તેમણે યોગની ઊર્જા અનુભવી છે. ભારતે હંમેશાં જોડવાનું કામ કર્યું છે. નવા વિચારોનું સ્વાગત કર્યું છે. વિવિધતાને સ્વીકારીએ છીએ. યોગ ચેતનાથી જોડે છે. પ્રાણીમાત્ર સાથે પ્રેમનો આધાર આપે છે. યોગ માટે કહેવાય છે..કર્મમાં કુશળતા જ યોગ છે. યોગથી આપણું શારીરિક સ્વાથ્યતા નવા ભારતની ઓળખ થશે.

વડાપ્રધાને અમેરિકાથી દેશીવાસીઓને સંબોધિત કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાથી દેશવાસીઓને વર્ચ્યુઅલી સંબોધન કરી દેશવાસીઓને યોગદિનની શુભકામનાઓ પાઠવી હતી. ઉપસ્થિત સૌએ મધ્યપ્રદેશના જબલપુરમાં ઉપરાષ્ટ્રપતિ આયોજિત રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ નિહાળ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી અને મહાનુભાવોના હસ્તે યોગના મહત્વ અને યોગના ઈતિહાસ આધારિત કોફી ટેબલ બુક ‘યોગ’નું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ યોગ એવોર્ડ એનાયત કરાયા હતા. યોગ બોર્ડના ચેરમેન શિશપાલ રાજપૂતે કોમન યોગ પ્રોટોકોલ અભ્યાસ કરાવ્યો હતો.

UNમાં ફરી એકવાર PMએ ભારત માતાને ગર્વ અપાવ્યું: CM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, UNમાં મોદીએ યોગ કરીને ફરી એકવાર ભારત માતાને ગર્વ અપાવ્યું છે. યોગના 21 યોગ સ્ટુડિયો નવા શરૂ કરી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે સુરત ઇતિહાસ રચી દેશે. 1 લાખ કરતાં વધુ લોકો જોડાયા, .મોડે સુધી જાગતા સુરતીઓ આજે 4 વાગ્યાથી અહીં આવી રહ્યા હતા. 250 સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ન ભૂતો ન ભવિષ્યતિ જેવો કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે. મોદી અમેરિકામાં છે પણ ગુજરાત અને તેમાં પણ સુરતમાં આ દૃશ્ય અદભુત જોવા મળ્યું છે.

યોગવિદ્યા ગ્રહણ કરી નિયમિત તેનો અભ્યાસ કરો
આ પ્રસંગે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતની ભવ્ય વિરાસત સમા યોગથી વિશ્વમાં ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના વધુ મજબૂત થઈ છે. જેનું શ્રેય આપણા વડાપ્રધાનને ફાળે જાય છે. યોગ અભ્યાસથી સ્વસ્થ-તંદુરસ્ત અને તણાવમુક્ત જીવન કેવી રીતે જીવી શકાય તેનું જ્વલંત ઉદાહરણ આપણા ઋષિ-મુનિઓ, યોગાચાર્યોએ દુનિયાને પૂરું પાડ્યું છે, આપણે સૌએ સુસ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગવિદ્યા ગ્રહણ કરી નિયમિત તેનો અભ્યાસ કરવો જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો.

ગિનિસ બુકમાં રેકોર્ડ
21મી જૂન- ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી નિમિત્તે સુરત ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં 1.50 લાખ નાગરિકો એકસાથે એક જ સ્થળે યોગાભ્યાસમાં જોડાઇને વિશ્વ વિક્રમ સર્જ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ રાજ્યકક્ષાની ઉજવણીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતા ઉપસ્થિતિ રહ્યા હતા. ફક્ત એટલું જ નહીં પીએમ નરેન્દ્ર મોદીએ સવારે 6.40 કલાકે વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધ્યા હતા, જેનુ જીવંત પ્રસારણ રાજ્યભરમાં યોજાનાર કાર્યક્રમોમાં કરાયું હતું.

રાજ્યમાં 7 હજારથી વધુ સ્થળે યોગનું આયોજન કરાયું
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, કોરોનાકાળમાં લોકોને આરોગ્યની મહત્તા સુપેરે સમજાઈ છે, આવા વિકટ સમયમાં યોગ-પ્રાણાયામ સંજીવની સમાન બન્યા હતા. ત્યારે આપણા ૠષિમુનિઓની અમૂલ્ય ભેટ સમાન યોગવિદ્યા આધુનિક યુગમાં સ્વસ્થ જીવન જીવવાની ચાવી બની છે. કેન્દ્ર સરકારના સુશાસનને 9 વર્ષ તેમજ 9માં વિશ્વ યોગ દિવસનો સંયોગ સર્જાયો છે એમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં 7000થી વધુ સ્થળોએ સવા કરોડ જેટલા લોકો યોગદિવસની ઉજવણીમાં જોડાયા છે, ત્યારે યોગ દિવસની રાજ્યના નાગરિકોને શુભકામનાઓ પાઠવી યોગથી નિરોગ રહેવાનો અનુરોધ કર્યો હતો.

‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ ની થીમ પર ઉજવણી
વિશ્વભરમાં દર વર્ષે 21મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ ની થીમ પર ઉજવણી કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. Y-જંક્શનથી SVNIT સર્કલ -4 કિ.મી સુધી, Y જંક્શનથી રત્નભૂમિ પાર્ટી પ્લોટ – 4 કિ.મી સુધી, તેવી જ રીતે Y-જંક્શનથી સુરત એરપોર્ટ ગેટ – 4.5 કિ.મી સુધી મળી પ્રતિ 1 કિમી આશરે 10,000 નાગરિકો એટલે કે 1,25,000 નાગરિકો કુલ 12.5 કિમી પથ પર આ યોગાભ્યાસમાં સહભાગી થયા હતા. નોંધનીય બાબત છે કે, રાજ્ય કક્ષાના સુરત ખાતેના કાર્યક્રમમાં જોડાવવા માટે જાહેર કરાયેલી ઓનલાઇન લિંક ઉપર માત્ર એક જ દિવસમાં એક લાખથી વધુ નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવી દીધું હતું.

કયા-કયા માર્ગ બંધ કરવામાં આવ્યા?
જાહેરનામા અનુસાર પ્રતિબંધિત રૂટો SVNIT સર્કલથી ONGC કોલોની નાકા (એલ એન્ડ ટી કોલોની સામે)થી સુધી આવતા-જતા મેઇન રોડ બંધ . SVNIT સર્કલથી કાન્તિલાલ જ્વેલર્સ પાર્લે પોઇન્ટ બ્રિજ ચઢતા-ઊતરતા તથા ઘોડ-દોડ તરફથી ચઢતો બ્રિજ બંધ. Y-જંક્શનથી સોમેશ્વર સર્કલથી રત્નભૂમી પાર્ટી પ્લોટ સુધી મેઇન રોડ આવતા-જતા બંન્ને તરફનો રસ્તો બંધ. Y-જંક્શનથી ઓલિવ (ગાંધી કુટીર) સર્કલ સુધીના આવતા-જતા (અણુવ્રત દ્વાર તથા ભટાર બ્રિજ સહિત) બન્ને સાઇડના મુખ્ય રોડ બંધ.

વાહન વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થા

  • આ પ્રતિબંધિત રૂટોના વૈકલ્પિક રૂટ તરીકે SVNIT સર્કલથી વાય જંક્શન સુધી બંન્ને તરફનો સર્વિસ રોડ ખુલ્લો રહેશે.
  • SVNIT સર્કલથી તથા ઉંમરા તરફથી એસ.કે.પાર્ક થઇ પાસપોર્ટ ઓફિસ ત્રણ રસ્તાથી શારદાયતન સ્કૂલ પાછળના ત્રણ રસ્તાથી જમણે ટર્ન લઇ ચાંદનીચોક, સુરત જિમખાનાથી જીંજર હોટેલથી BSNL ઓફિસ સામેના ત્રણ રસ્તા સુધી જઇ શકાશે.
  • ONGC કોલોની નાકા (એલ એન્ડ ટી કોલોની સામે)થી અમોર હોટેલથી ડાબે મગદલ્લા ગામ અંદરથી શ્રીનાથ હવેલી, વેલેન્ટાઇનથી SVNIT સુધી સર્વિસ રોડ ખુલ્લો રહેશે.
  • SVNIT સર્કલથી ઉમરાગામ, ભાલતિલક સર્કલથી, ઉમરા-પાલ બ્રિજ થઇ પાલ પાટિયા, ભાઠા ગામ, ઇચ્છાપોર, ONGC ચાર રસ્તાથી તાપી બ્રિજ થઇ એક.કે.નગર થી એરપોર્ટ જઇ શકાશે.
  • એરપોર્ટથી એસ.કે.નગરથી તાપી બ્રિજ થઇ ONGC ચાર રસ્તાથી ઇચ્છાપોર, ભાઠા ગામ, પાલ પાટિયા, સ્ટાર બજારથી ગુજરાત ગેસ સર્કલથી અઠવાગેટ તરફ જઇ શકશે.
  • SVNIT સર્કલથી સર્વિસ રોડથી કાન્તિલાલ જ્વેલર્સથી સરગમ બ્રિજ નીચેથી પાર્લે પોઇન્ટ થઇ ઘોડ-દોડ રોડ તથા મેઇન રોડથી અઠવાગેટ તરફ જઇ શકાશે.
  • પાર્લે પોઇન્ટ બ્રિજ નીચેથી સરગમથી મલ્હાર એપાર્ટમેન્ટથી સર્વિસ રોડથી SVNIT સર્કલ તરફ જઇ શકાશે.
  • Y-જંક્શનથી સોમેશ્વર સર્કલથી અણુવ્રત દ્વાર બ્રિજ સુધી બંન્ને તરફનો સર્વિસ રોડનો ઉપયોગ કરી શકાશે.
  • અણુવ્રત દ્વાર બ્રિજ નીચેથી જમણે ટર્ન લઇ પનાસ નહેર ચાર રસ્તાથી આકાશ કેનાલ રોડ, આગમ શોપિંગ સેન્ટર ચાર રસ્તાથી ડાબે ટર્ન લઇ આભવાથી જમણે ટર્ન લઇ એસ.કે.નગર એરપોર્ટ જઇ શકાશે.
  • અણુવ્રત દ્વાર બ્રિજ નીચેથી શ્યામધામ મંદિરથી VIP રોડથી જમણે ટર્ન લઇ આકાશ કેનાલ રોડ, આગમ શોપિંગ સેન્ટર ચાર રસ્તાથી ડાબે ટર્ન લઇ આલવાથી જમણે ટર્ન લઇ એસ.કે.નગર એરપોર્ટ જઇ શકાશે.
  • એરપોર્ટથી એસ.કે.નગરથી સચિન હાઇવે રોડ, વી.આઇ.પી. રોડ ટી-પોઇન્ટથી, ગેલ કોલોની ચાર રસ્તાથી વિજ્યાલક્ષ્મીથી આકાશ કેનાલ રોડથી શ્યામધામ મંદિરથી અલથાણ નહેર ચાર રસ્તાથી ડાબે ટર્ન લઇ સોહમ સર્કલથી ડાબે ટર્ન લઇ અલથાણ કેનાલ રોડથી બ્રેડ લાઇનરથી સિટીમાં પ્રવેશ કરી શકશે.
  • એરપોર્ટથી એસ.કે.નગરથી સચિન હાઇવે રોડ, વી.આઇ.પી. રોડ ટી-પોઇન્ટથી, ગેલ કોલોની ચાર રસ્તાથી વિજ્યાલક્ષ્મીથી આકાશ કેનાલ રોડથી શ્યામધામ મંદિરથી અલથાણ નહેર ચાર રસ્તા, કૈલાસનગર, પત્રકાર કોલોનીથી ડાબે ટર્ન લઇ ગાંધીકુટીરથી સિટીમાં પ્રવેશ કરી શકશે.
  • અણુવ્રત દ્વાર બ્રિજ નીચેનો રસ્તો આવવા-જવા માટે ખુલ્લો રહેશે તેમજ બ્રેડ લાઇનર સર્કલ ખુલ્લો રહેશે અને નવજીવન સર્કલ તરફથી આવતો ટ્રાફિક સર્વિસ રોડનો ઉપયોગ કરી બ્રેડ લાઇનર સર્કલથી સોહમ સર્કલ તરફ જઇ શકશે.

Spread the love

Related posts

તમામ જ્યોતિર્લિંગની પૂજા એક જ સ્થાને:પાલનપુર જકાતનાકા શિવ મંદિરમાં 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ મુકતા શિવ ભક્તોમાં ઉત્સાહનો માહોલ, ભક્તો તાપીના જળથી અભિષેક કરી શકશે

Team News Updates

શ્રીજીનું દબદબાભેર આગમન:સુરતમાં મોડીરાત્રે ઢોલ-નગારાં અને ડીજેના તાલે ગણપતિ બાપાને લવાયા; લાઇટિંગ સાથે અલગ-અલગ વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું

Team News Updates

સુરતમાં બે વર્ષની બાળકી પર રેપ બાદ હત્યા કરનાર નરાધમને કોર્ટે ફાંસીની સજા સંભળાવી

Team News Updates