News Updates
NATIONAL

યમુનાનાં પાણી દિલ્હીમાં ફરી વળ્યાં:હરિયાણાના 13 જિલ્લામાં પણ પાણી ઘૂસ્યાં; CM કેજરીવાલના ઘર સુધી પાણી પહોંચ્યું; ઈમરજન્સી મિટિંગ બોલાવાઈ

Spread the love

ગુરુવારે સવારે 7 વાગ્યે દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર 208.46 મીટરે પહોંચી ગયું હતું. નદીનું જળસ્તર ભયજનક નિશાન 205 મીટરથી 3 મીટર ઉપર વહે છે. રાજધાનીના વજીરાબાદમાં સિગ્નેચર બ્રિજ પાસે ગઢી માંડુ ગામ પાણીમાં ડૂબી ગયું હતું. યમુના નદીના કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારોમાંથી 16,000થી વધુ લોકોને સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે. યમુનાના પાણીના કારણે દિલ્હીના રસ્તા નદી જેવા બની ગયા છે અને જનજીવન ઠપ થઈ ગયું છે. યમુનાના પાણી દિલ્હીના રસ્તા અને ગલીમાં વહી રહ્યા છે. હાલત ખરાબ છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના નિવાસ સ્થાન સુધી પણ પાણી પહોંચી જતાં કેજરીવાલે ઈમરજન્સી મિટિંગ બોલાવી છે.

હરિયાણાના હથની કુંડ બેરાજમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ યમુનાના જળસ્તરમાં વધારો થયો છે. યમુના વજીરાબાદથી ઓખલા સુધી 22 કિમીમાં વહે છે. સેન્ટ્રલ વોટર કમિશનને આશંકા છે કે ગુરુવાર બપોર સુધીમાં જ્યારે પાણીનું સ્તર 209 મીટર સુધી પહોંચશે ત્યારે મોટાભાગના વિસ્તારો ડૂબી જશે. NDRFની 12 ટીમો અહીં તહેનાત કરવામાં આવી છે. 2,700 રાહત શિબિર લગાવવામાં આવ્યા છે.

આ તરફ ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં બુધવારે 3 લોકો નદીમાં તણાઈ ગયા હતા. ચમોલી જિલ્લામાં 5 જગ્યાએ ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ હાઈવે પણ બંધ છે. ગંગોત્રી, યમુનોત્રી અને રુદ્રપ્રયાગ હાઈવે પણ બંધ છે. ચમોલી સહિત અનેક જિલ્લાઓમાં આજે શાળાઓ બંધ રહેશે.

હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને 1189 રસ્તાઓ બંધ થવાને કારણે લગભગ 20,000 પ્રવાસીઓ અટવાયા છે. તેઓ એવા વિસ્તારોમાં ફસાયેલા છે જ્યાં વીજળી નથી અને ફોન નેટવર્ક પણ નથી.

24 જૂનથી રાજ્યમાં 88 લોકોનાં મોત થયાં છે. 51 જગ્યાએ ભૂસ્ખલન થયું છે અને 32 જગ્યાએ પૂર આવ્યું છે. મુખ્યમંત્રીએ તેને 50 વર્ષમાં રાજ્યની સૌથી મોટી દુર્ઘટના ગણાવી છે.

  • છેલ્લા 24 કલાકમાં હિમાચલ પ્રદેશ, દિલ્હી, પંજાબ અને હરિયાણામાં વરસાદમાં ઘટાડો થયો છે. જ્યારે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થયો હતો.
  • MCDએ દિલ્હીમાં 13 શાળાઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠક બોલાવી છે. જેમાં મુખ્યમંત્રી કેજરીવાલ પણ ભાગ લેશે.
  • યમુના નદીના જળસ્તરનો 45 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો. 1978માં યમુનાનું સૌથી ઊંચું જળસ્તર 207.49 મીટરે પહોંચ્યું હતું. આ વખતે તે 208 મીટરને પાર કરી ગયું. હરિયાણાના હથની કુંડ બેરેજમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવાને કારણે આ બન્યું છે.
  • હિમાચલમાં 7થી 11 જુલાઈ દરમિયાન સામાન્ય ક્વોટા કરતાં 436% વધુ વરસાદને કારણે 40 પુલ તણાઈ ગયા છે.
  • હિમાચલમાં 50 હજાર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. તેમાંથી 25 હજાર લોકો કુલ્લુ-મનાલીમાં ત્રણ દિવસથી ફસાયેલા હતા.
  • પંજાબના 14 જિલ્લાઓમાં 1,058 જિલ્લા પૂરથી પ્રભાવિત થયા છે.

કેવા રહેશે આગામી 24 કલાક…

આ રાજ્યોમાં ભારે વરસાદ થશેઃ મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, બિહાર, ઝારખંડ, ગોવા, વિદર્ભ, સૌરાષ્ટ્ર, કચ્છ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, કર્ણાટક, કેરળ.

આ રાજ્યોમાં થશે હળવો વરસાદઃ હિમાચલ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ઓડિશા અને તમિલનાડુમાં વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ થઈ શકે છે.


Spread the love

Related posts

21 સપ્ટેમ્બરે શપથ લેશે આતિશી સાથે નવી કેબિનેટ: મુકેશ અહલાવત નવા કેબિનેટ મંત્રી, ગોપાલ રાય- સૌરભ ભારદ્વાજ સહિત પાંચ કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે

Team News Updates

વનસ્પતિ ઘીના વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા, 150 કિલો ઘી સીઝ કરાયું

Team News Updates

અદભૂત! નદીમાંથી મળી ભગવાન વિષ્ણુની પ્રાચીન મૂર્તિ, હૂબહૂ અયોધ્યાના ‘રામ લલ્લા’ જેવી જ, 1000 વર્ષ છે જૂની

Team News Updates