છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોર મામલે હાઇકોર્ટ દ્વારા કડક પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે. જેને લઈને મનપા દ્વારા ઢોરપકડ ઝૂમ્બેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ઢોર પકડવાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરાય છે. જો કે, ઢોર ડબ્બામાં રોજ 10થી વધુ ગાયોનાં મોત થતા હોવાનો આરોપ માલધારી આગેવાને લગાવ્યો છે. સાથે મનપાનાં અધિકારીઓ કેટલા પશુઓ પકડ્યા તે બતાવે છે, પરંતુ મોતનાં સાચા આંકડા છુપાવાતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
![](https://ekkhabar.online/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-18-at-1.56.52-PM.jpeg)
રોજ અહીં 10-15 ગાયોનાં મોત થાય છેઃ રણજીત મૂંધવા
આ મામલે માલધારી આગેવાન રણજીત મૂંધવાનાં જણાવ્યા મુજબ, ઢોર ડબ્બામાં ગાયોને પૂરતો ખોરાક અને પાણી આપવામાં આવતા નથી. કોઈ બીમાર ગાય હોય તેને સારવાર પણ આપવામાં આવતી નથી. જેને કારણે અહીં દરરોજ 10 કરતા વધુ ગાયો મોતને ભેટે છે. મનપાનાં અધિકારી ક્યારે કેટલા ઢોર પકડ્યા તે જાહેર કરે છે. તો એવું કેમ જાહેર કરતા નથી કે, રોજ અહીં 10-15 ગાયોનાં મોત થાય છે. મનપા દ્વારા નિમાયેલા ઢોર ડબ્બાનાં ઇન્ચાર્જની બેદરકારીને કારણે આવી ઘટનાઓ બનતી હોવાનો સીધો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.
‘બિમાર ગાયને છોડવી પડે કે પાંજરાપોળ મોકલવી પડે’
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મૂળ પ્રશ્ન એ છે કે જ્યારે ઢોર ડબ્બામાં ગાય આવે ત્યારે તેને પૂરતો ખોરાક અપાતો નથી. માલધારી પાસે રોજનું 20 કિલો નીરણ મળતું હોય, જેની સામે અહીં માત્ર એકાદ કિલો આપવામાં આવે છે. એટલું જ નહીં બિમાર ગાયને જરૂરી સારવાર પણ મળતી નથી. મનપા પાસે બે વેટરનરી ડૉક્ટર્સ છે, પરંતુ અધિકારીઓ પ્રમોશન લઈ જતા રહેતા કોઈ ગાયોની તપાસ કરવા જતું નથી. બિમાર ગાયને છોડવી પડે કે પાંજરાપોળ મોકલવી પડે તેના માટે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
![](https://ekkhabar.online/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-18-at-1.56.36-PM-1.jpeg)
દંડ વસૂલવા છતાં ગાયને પૂરતો ખોરાક-પાણી અપાતા નથી
નામદાર કોર્ટે આદેશ કરેલો છે કે, 7 દિવસમાં માલધારી ગાય છોડાવવા ન આવે તો તેની હરાજી કરવી, તેમજ અન્ય માલધારીને સોંપી દેવી. પણ આવી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. માલધારીઓ પોતાની ગાય પરત લેવા જાય ત્યારે તેની પ્રોસિઝરમાં બે દિવસ લાગે છે અને એક દિવસના 4 હજાર રૂપિયા લેખે 8 હજાર ચાર્જ ચૂકવવો પડે છે. આટલો દંડ વસૂલવા છતાં ગાયને પૂરતો ખોરાક-પાણી અપાતા નથી. હાલ આ તમામ કામગીરી જીવદયા ટ્રસ્ટને સોંપવામાં આવી છે, પરંતુ તેના દ્વારા પણ કોઈ પગલાં લેવાતા નથી.
ટ્રસ્ટની કામગીરી માટેનો કાયદો ઘડવા રજૂઆત કરાશે
જીવદયા ટ્રસ્ટને જવાબદારી આપ્યા બાદ કોર્પોરેશન હાથ ઊંચા કરી લે છે. ત્યારે સંપૂર્ણ જવાબદારી જીવદયા ટ્રસ્ટની રહે છે અને ટ્રસ્ટ દ્વારા તમામ ગાયોને પૂરતા ખોરાક અને પાણી તેમજ સારવાર આપવામાં આવવી જોઈએ. આ માટે મ્યુ. કમિશ્નર સહિતના જવાબદાર અધિકારીઓને માલધારી સમાજ દ્વારા રજૂઆત પણ કરવામાં આવશે. જેમાં ટ્રસ્ટની કામગીરી માટેના કાયદા ઘડવા અને ગાયોનાં મોત થતા અટકાવવા જરૂરી પગલાં લેવા આદેશ કરવામાં આવે તેવી માગ કરવામાં આવશે.