News Updates
VADODARA

આર્થિકભીંસથી પરિવાર વેરવિખેર થયો:વડોદરામાં પત્ની-પુત્રને મોતને ઘાટ ઉતાર્યા, પતિએ ઝેરી દવા પી ગળામાં બ્લેડના ઘા માર્યા, સુસાઈડ નોટમાં મકાન આજે ખાલી કરવાનું દબાણ હોવાનો ઉલ્લેખ

Spread the love

વડોદરાના કલાભુવન પાસે પિરામીતાર રોડ ઉપર આવેલી કાછિયા પોળમાં રહેતા પંચાલ પરિવારના મુકેશભાઈ, તેની પત્ની નયનાબેન અને પુત્ર મિતુલે આપઘાતના કરેલા પ્રયાસમાં માતા અને પુત્રનું મોત નીપજ્યું છે. જ્યારે મુકેશભાઈએ ઝેરી દવા પી પોતાના ગળા પર બ્લેડના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ તેને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મુકેશભાઈએ જ પત્ની અને પુત્રને મોતને ઘાટ ઉતારી જાતે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મુકેશભાઈ આર્થિકભીંસથી કંટાળી આવું પગલું ભર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સારવારમાં ખસેડતી સમયે ઈજાગ્રસ્ત મુકેશભાઈએ જણાવ્યું હતું કે, ખાવા-રહેવા માટે પૈસા તો જોઈને, મેં મારી જાતે બ્લેડના ઘા માર્યા છે. જ્યારે પોલીસને એક સુસાઈડ નોટ મળી છે જેમાં મકાન ખાલી કરવાનું દબાણ હોવાનો ઉલ્લેખ છે.

રાવપુરા પોલીસ સ્ટેશનના એક પૂજા તિવારી સયાજી હોસ્પિટલના ઇ એન્ડ ટી ઓપરેશન થિયેટરમાં પહોંચ્યા, જ્યાં મુકેશ પંચાલ સારવાર હેઠળ છે અને તેનું ઓપરેશન ચાલીં રહ્યું છે. પુત્રના બન્ને હાથ બંધાયેલા હતા અને ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. જ્યારે પત્નીને ઝેરી દવા પાઇ હતી. પરંતુ ન મરતા તેને દુપટ્ટાથી પતિએ ગળેટૂંપો આપ્યો હતો. આથી પત્ની-પુત્રની હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ ખુલ્યું છે.

માતા અને પુત્રના ઘરમાંથી મૃતદેહ મળ્યા
મળેલી માહિતી પ્રમાણે પિરામીતાર રોડ ઉપર આવેલ કાછિયા પોળના રહેવાસી મુકેશભાઇ ભોગીલાલ પંચાલ (ઉં.વ. 47), તેની પત્ની નયનાબેન અને 24 વર્ષીય પુત્ર મિતુલે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા અને પુત્રના ઘરમાંથી મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે ગળામાં બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કરનાર મુકેશભાઈ પંચાલને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ડીસીપી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો
મુકેશભાઈ પંચાલે પત્ની અને પુત્રને મોતને ઘાટ ઉતાર્યા બાદ જાતે ગળામાં બ્લેડના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે. આ બનાવને પગલે વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બીજીબાજુ આ બનાવની જાણ રાવપુરા પોલીસને કરવામાં આવતા પીઆઈ પૂજા તિવારી સ્ટાફ સાથે દોડી ગયા હતા. આ સાથે ડીસીપી અભય સોની પણ સ્થળ ઉપર દોડી જઈ તપાસ શરૂ કરી હતી.

મુકેશભાઈએ ‘બચાવો બચાવો’ની બૂમો પાડી હતી
સ્થાનિક યુવાને જણાવ્યું હતું કે, વહેલી સવારે મુકેશભાઈએ ‘બચાવો બચાવો’ની બૂમો પાડતા અમે દોડી ગયા હતા. આથી અમે દોડી જતા તેઓ લોહીલુહાણ હતા. બાદમાં અમે તુરંત જ તેઓને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. મુકેશભાઈ પંચાલ સિક્યોરિટીમા નોકરી કરતા હતાં. પરિવાર આર્થિક ભીંસમા હોવાથી આ ઘટના બની છે.

મુકેશભાઈએ પહેલા ઝેરી દવા પીધી પછી બ્લેડના ઘા માર્યા
સયાજી હોસ્પિટલમાં ખસેડાયેલા મુકેશભાઈનું ઓપરેશન કરવામાં આવશે. તેમને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. મુકેશભાઈ પંચાલે ઝેરી દવા પીધા બાદ બ્લેડથી પોતાના ગળાના ભાગે ઘા માર્યા હતા. જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

પોલીસને પંચાલ પરિવારે લખેલી સુસાઈડ નોટ મળી
પોલીસને પંચાલ પરિવાર પાસેથી સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં મકાનમાલિક મકાન ખાલી કરાવવાનું કહેતા પરિવાર ચિંતામાં હતો તેવું લખવામાં આવ્યું હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. મકાન ખાલી કરવાની ચિંતામાં પરિવારે સામૂહિક આપઘાત કર્યાનો સ્ફોટક ખુલાસો થયો છે. આજે પંચાલ પરિવારને મકાન ખાલી કરવાનો હતો છેલ્લો દિવસ હતો. પંચાલ પરિવાર જે મકાનમાં ભાડેથી રહેતો તે મકાન અગાઉ વિવેકસિંહા નામના વ્યક્તિએ ખરીદ્યું છે. મકાન અગાઉ રાજુ પાંસેરીયા પાસે હતું. પુત્ર ગ્રેજ્યુએટ હતો અને શેરબજારનું કામ કરતો હતો.


Spread the love

Related posts

547મો પ્રાદુરભાવ ઉત્સવ વલ્લભાચાર્યજી મહાપ્રભુનો:આવતીકાલે વ્રજરાજકુમારજીની અધ્યક્ષતામાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ઉત્સવની ઉજવણી થશે

Team News Updates

 Vadodara:14 સેમીનું તીર તબીબોએ બહાર કાઢ્યું,સયાજી હોસ્પિટલમાં દર્દીની સફળ સર્જરી

Team News Updates

વડોદરામાં મોપેડ લઇ પસાર થતા વૃદ્ધ દંપતી પર ઝાડની ડાળી પડતાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત; બે કારને નુકસાન

Team News Updates