- રાજકોટમાં 6 ખાનગી હોસ્પિટલને 27 વેન્ટિલેટર અપાયા
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા કોરોનાની સ્થિતિ અંગે અધિક કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તંત્ર દ્વારા જસદણ પાસે આવેલી વિરનગર આંખની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરી છે. આ સાથે જ ધોરાજીમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. સરકાર દ્વારા રાજકોટમાં 6 ખાનગી હોસ્પિટલને 27 વેન્ટિલેટર આપ્યા છે. સાથે જ ડોક્ટર્સની પણ ફાળવણી કરવામાં આવી છે.
જસદણના વિરનગરમાં કોવિડ હોસ્પિટલ જાહેર કરાઈ
જસદણ પાસે આવેલી વિરનગર આંખની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. જેથી જસદણ, આટકોટ અને વીંછીયાના લોકોને ફાયદો થશે. વિરનગર આંખની હોસ્પિટલમાં 70 બેડની સુવિધા આપવામાં આવી છે. મહત્વનું છે કે આ વિસ્તારમાં એક પણ કોવિડ હોસ્પિટલ ફાળવવામાં આવી ન હતી. જેથી લોકોને મુશ્કેલી પડી રહી હતી.
ધોરાજીમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવા મંજૂરી અપાઈ
ધોરાજીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે ધોરાજીમાં તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલ શરૂ કરવા માટે મંજૂરી આપી છે. જેથી ધોરાજી આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને રાજકોટ સુધી ધક્કા ખાવા પડશે નહીં.
રાજકોટમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 643 બેડની વ્યવસ્થા
રાજ્ય સરકાર તરફથી રાજકોટને 100 વેન્ટિલેટર, 70 તબીબનો સ્ટાફ અને 80 જેટલા એટેન્ડન્સની ફાળવણી કરવામાં આવી છે. હાલ 6 ખાનગી હોસ્પિટલમાં 27 વેન્ટિલેટર આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ખાનગી હોસ્પિટલને વધુ વેન્ટિલેટર આપવામાં આવશે. રાજકોટમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 643 બેડની સુવિધા છે.