News Updates
VADODARA

તળાવમાંથી શ્રીફળ કાઢવા જતા મોત:વડોદરાના તરસાલી તળાવમાં ગણેશ વિસર્જન બાદ યુવાન નાળિયેર કાઢવા ગયો, ડૂબી જતા મોત; પરિવારજનોનું હૈયાફાટ રૂદન

Spread the love

શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા તળાવમાં આજે સવારે શ્રમજીવી પરિવારના યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ યુવાન શ્રીજીના વિસર્જન સાથે પધરાવવામાં આવતા શ્રીફળ કાઢવા માટે તળાવમાં ગયો હતો. આ યુવાન તરવૈયો હોવા છતાં, તળાવની વચ્ચે પહોંચ્યા બાદ બહાર આવી ન શકતા મોતને ભેટ્યો હતો.

બે દિવસથી જતો હતો
મળેલી માહિતી પ્રમાણે તરસાલી બાયપાસ પાસે આવેલા વુડાના મકાનમાં 20 વર્ષિય સંજય પ્રવિણભાઈ વાદી માતા સવિબહેન તેમજ ભાઈ-બહેન સાથે રહેતો હતો. છૂટક મજૂરી કામ કરતો સંજય છેલ્લા બે દિવસથી તરસાલી તળાવમાં શ્રીજીના વિસર્જન દરમિયાન પધરાવી દેવામાં આવતા શ્રીફળ કાઢવા માટે જતો હતો.

તળાવની વચ્ચે ગયો
આજે પણ સંજય વાદી સવારે 11 વાગ્યાના સુમારે તળાવમાં શ્રીફળ કાઢવા માટે તળાવમાં ઉતરતો હતો. શ્રીફળ કાઢવા માટે સંજય તરતો તરતો તળાવની વચ્ચે પહોંચી ગયો હતો. જ્યાં ઊંડુ પાણી હતું. શ્રીફળ લઇ લીધા બાદ તે તળાવની વચ્ચેથી કિનારા સુધી તરીને ન આવી શકતા ડૂબી જવાથી મોતને ભેટ્યો હતો.

મૃતદેહ તરતો જોયો
કલાકો બાદ તળાવની વચ્ચો વચ્ચ તરી રહેલા મૃતદેહને અન્ય તરવૈયાઓએ જોતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. તુરંત જ મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર એચ.વી. ગઢવી સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા. દરમિયાન સ્ટાફ રબર બોટ દ્વારા તળાવની વચ્ચો વચ્ચ જઇને મૃતદેહને બહાર કાઢ્યો હતો. બનાવની જાણ થતાં દોડી આવેલી મકરપુરા પોલીસને મૃતદેહ સોંપ્યો હતો.

પરિવારનું હૈયાફાટ રૂદન
મૃતદેહ બહાર કાઢ્યા બાદ મૃતદેહ સંજય વાદીનો હોવાનું અને તરસાલી વુડાના મકાનનો રહેવાસી હોવાની પોલીસને માહિતી મળતા પરિવારને જાણ કરી હતી. પોલીસ દ્વારા માહિતી મળતા જ સંજયની માતા સવિબહેન તેમજ તેના ભાઈ-બહેન ભારે આંક્રદ કરતા દોડી આવ્યા હતા. તળાવના કિનારે ભાઈનો મૃતદેહ જોઇ પરિવારે ભારે આંક્રદ કરી મૂક્યું હતું. આ બનાવને પગલે સંજયના મિત્રો સહિત મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. આ બનાવે વિસ્તારમાં તેમજ વુડાના મકાનોમાં ચકચાર સાથે ગમગીની ફેલાવી દીધી હતી.

પોલીસે કાર્યવાહી હાથ ધરી
મકરપુરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કિરણભાઈએ લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. હેડ કોન્સ્ટેબલ કિરણભાઈએ જણાવ્યું હતું કે, મૃતદેહ ઉપર કોઇ ઇજાના નિશાન મળી આવ્યા નથી. સંજય વાદીનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. હાલ આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.


Spread the love

Related posts

1100 અખંડ દીવા નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે ગુજરાતમાં એકમાત્ર એવુ મંદિર 

Team News Updates

Vadodara:પક્ષીઓને 600 કિલો પંચ ધાન્યોની ચણ,ગૌ માતાને કેરી, કેળા, ચીકુ, તરબૂચ, સફરજન સહિતના ફળો અર્પણ,1500 કિલો ફળનું દાન રાજકોટના મૃતકોને પુષ્પાંજલી રૂપે 

Team News Updates

ચારિત્ર્ય પર શંકા કરી પત્નીના ગળે છરી હુલાવી:વડોદરામાં પિયર ગયેલી પત્નીને જાહેર રોડ પરથી ઘરમાં ખેંચી લઈ જઈ પતિએ હુમલો કર્યો, બચવા માટે ઉપરના માળેથી કૂદકો માર્યો, લોહીલુહાણ

Team News Updates