![](https://ekkhabar.online/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-28-at-12.36.37-PM.jpeg)
![](https://ekkhabar.online/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-28-at-12.36.27-PM.jpeg)
આગામી લોકસભા ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યાં છે. ત્યારે ભાજપે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં રાજકોટ મનપાની ટીમો દ્વારા શહેરનાં દરેક વિસ્તારમાં જઈ લોકોને સરકારી સુવિધાઓ અને યોજનાઓનાં લાભ આપવામાં આવશે. આગામી 15 ડિસેમ્બર સુધી ચાલનારી આ યાત્રા તમામ વોર્ડમાં ફરશે અને દરેક વોર્ડમાં સવારે અને સાંજે એમ કુલ બે કેમ્પ યોજવામાં આવશે. જેમાં રાશન કાર્ડ, આધાર કાર્ડ, વિધવા સહાય, પેંશન સહિતનાં મુદ્દે લોકોને સુવિધાઓ પુરી પાડવામાં આવનાર છે. આજે કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
![](https://ekkhabar.online/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-28-at-12.35.59-PM.jpeg)
આગામી દિવસોમાં શહેરના તમામ વોર્ડમાં કેમ્પ યોજવામાં આવશે
પ્રાપ્ત વિગત મુજબ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નાં અનુસંધાને દરેક વોર્ડમાં રથ ફેરવવામાં આવશે. તેમજ લોકોને વિકાસ ગાથાની માહિતી આપવાની સાથે વિવિધ સરકારી યોજનાઓના લાભો આપવામાં આવશે. આ યાત્રા તમામ વોર્ડમાં ફરશે અને એ દરમિયાન દરેક વોર્ડમાં સવારે 9:30 થી 1:30 વાગ્યા દરમિયાન તથા બપોર પછી 3:30 થી 7:00 વાગ્યા સુધી ‘યોજનાકીય કેમ્પ’ યોજાશે. આજે તા. 28 નવેમ્બરથી સંતોષીનગર પ્રાથમિક શાળા નં.98, રેલનગર ખાતેથી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં શહેરના તમામ વોર્ડમાં કેમ્પ યોજવામાં આવશે.
![](https://ekkhabar.online/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-28-at-12.36.20-PM.jpeg)
![](https://ekkhabar.online/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-28-at-12.35.42-PM.jpeg)
સરકારની વિવિધ યોજનાઓ અંગે કામગીરી
‘યોજનાકીય કેમ્પ’માં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે પી.એમ. સ્વનિધિ યોજના, હેલ્થ કેમ્પ, આરસીએચ, આયુષ્યમાન યોજના, પીએમ જન આરોગ્ય યોજના, પીએમ ભારતીય જનઔષધી યોજના, આધાર નોંધણી, પીએમ આવાસ યોજના (અર્બન), સ્વચ્છ ભારત અભિયાન (અર્બન), પ્રધાનમંત્રી ઈ-બસ સેવા, અમૃત યોજના, પીએમ ઉજ્જવલા યોજના, પીએમ મુદ્રા લોન યોજના, ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પીએમ વિશ્વકર્મા યોજના, ઉજાલા યોજના, ખેલો ઇન્ડિયા, ઉડાન યોજના, વંદે ભારત અને અમૃત ભારત સ્ટેશન યોજના અને મામલતદાર કચેરી હસ્તકની સરકારની વિવિધ યોજનાઓ અંગે કામગીરી કરવામાં આવશે.
લોકોને મોટો લાભ મળશે
ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ દરેક વોર્ડ વાઈઝ કેમ્પનાં આયોજન કરવામાં આવનાર હોવાથી અત્યાર સુધી જે કામ માટે લોકોને સરકારી કચેરીઓમાં લાઈનમાં ઉભા રહેવું પડતું હતું તેવા તમામ કામ ઘરઆંગણે થઈ જશે. જેનાથી લોકોને મોટો લાભ મળશે. લોકસભા ચૂંટણી પહેલા કાર્યરત યોજનાનો સીધો લાભ ભાજપને આગામી ચૂંટણીમાં મળે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. અન્ય પક્ષો હજુ ચૂંટણીની તારીખ જાહેર થાય તેની રાહ જોઈ રહ્યા છે, ત્યારે ભાજપે લોકોના ઘર સુધી પહોંચવા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નામનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેને કેટલી સફળતા મળશે તે તો આવનારો સમય જ બતાવશે.