2011માં GPSC પાસ થઈને મામલતદાર બનેલા ચિંતન વૈષ્ણવને છેક 2019 સુધી પ્રોબેશન પર રખાયા હતા, અનેકવાર બદલીઓ કર્યા બાદ આખરે દાહોદમાં ફરજ પર હતા ત્યારે ‘નબળી કામગીરી’ અને ‘ખરાબ વર્તણૂંક’નું કારણ આપી નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
લાંબા પ્રોબેશન પીરીયડ બાદ અનેક બદલીઓ તથા રાજકારણનો ભોગ બનીને ટર્મિનેટ થયેલ ઝાંબાજ મામલતદાર ચિંતન વૈષ્ણવ હવે ડેપ્યુટી કલેકટર તરીકે પોતાની આગવી શૈલીમાં કાર્ય કરીને લોકસેવાને સાર્થક કરશે..
“સત્ય પરેશાન થાય છે, પરાજીત નહિ” સુત્રને વરેલા મામલતદાર ચિંતન વૈષ્ણવ પોતાની “સ્વચ્છ છબી” માટે ગુજરાતભરમાં જાણીતા
તા.૩,ગાંધીનગર: ગુજરાત સરકારે નોકરીમાંથી ટર્મિનેટ કરી નાખેલા મામલદાર ડૉ. ચિંતન વૈષ્ણવને નોકરીમાં પરત લેવા માટે ગુજરાત હાઈકોર્ટે ટૂંક સમય પૂર્વે જ આદેશ આપ્યો હતો. સરકારને આદેશનું પાલન કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યા બાદ સરકારે ટર્મિનેટ કરેલા સ્વચ્છ છબી ધરાવતા મામલતદાર ચિંતન વૈશ્નવને ફરી મામલતદાર તરીકે ડાંગ ખાતે ફરજ પર પરત હાજર કર્યા હતા અને આખરે સત્યની સાથે સમય સાથે બાથ ભીડનારા આ સ્વાભિમાની અધિકારી ચિંતન વૈષ્ણવની ડેપ્યુટી કલેકટર(સાપુતારા) તરીકે બઢતી થઇ છે.
![](https://ekkhabar.online/wp-content/uploads/2023/12/82307173_2935847316446838_1697937757659201536_n.jpg)
શું છે ચિંતન વૈષ્ણવની કહાની…વાંચો…
2011માં GPSCની પરીક્ષા આપીને મામલતદાર તરીકે નિયુક્તિ મેળવનારા ચિંતન વૈષ્ણવને સરકારે 2019માં ટર્મિનેટ કરી દીધા હતા. પ્રામાણિક અધિકારી તરીકેની છાપ ધરાવતા ચિંતન વૈષ્ણવની તેમના કાર્યકાળ દરમિયાન અનેકવાર બદલીઓ કરવામાં આવી હતી. છેલ્લે તેઓ દાહોદ જિલ્લામાં ફરજ પર હતા ત્યારે 2 માર્ચ 2019ના રોજ તેમને ફરજ પરથી દૂર કરી દેવાયા હતા.
![](https://ekkhabar.online/wp-content/uploads/2023/12/88092688_3031310783567157_374419069723475968_n-1024x473.jpg)
ચિંતન વૈષ્ણવે આ અંગે સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારે વિના કોઈ કારણે તેમને ફરજ પરથી ઉતારી મૂક્યા હતા. 04 એપ્રિલ 2022ના રોજ ગુજરાત હાઈકોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપતા સરકારને તેમને નોકરી પર પરત લેવા માટે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ જીત તેમની અંગત નથી. આ કેસના ચુકાદાથી નવી ભરતીના યુવા મહેસૂલી કર્મચારીઓ સહિત અન્ય સરકારી કચેરીઓમાં કામ કરતા અસંખ્ય કર્મચારીઓના મોરલને વધારે ઉપર લઈ જશે. પોતાના ફેસબુક પેજ પર મૂકેલી એક પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે પદથી મેળવેલી પ્રતિષ્ઠા કરતા વ્યક્તિગત મેળવેલી પ્રતિષ્ઠા લાંબી અને ચડિયાતી હોય છે.
સરકારમાં ઉદાહરણરુપ કામ કરી બતાવું છે તેવા લોકોની કોઈ કમી નથી, પરંતુ તેમને ડગલેને પગલે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણી મર્યાદાને કારણે તેઓ સારી કામગીરી નથી કરી શકતા. કોર્ટે આપેલો આ ચુકાદો તેવા તમામ લોકોની જીત છે. આ લેન્ડમાર્ક જજમેન્ટના 32 પાનાની PDF દરેક સરકારી કર્મચારીએ પોતાના મોબાઈલમાં સાચવી રાખવા જોઈએ તેવી સલાહ ચિંતન વૈષ્ણવે આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમનો પ્રોબેશન 2013માં પૂરું થતું હતું. તેમના પર કોઈ ફરિયાદ, લિટિગેશન કે પછી તપાસ ચાલુ હોય તો પ્રોબેશન પિરિયડને વધુમાં વધુ બે વર્ષ સુધી લંબાવી શકાય તેમ હતો. 2015 સુધી પ્રોબેશન ક્ષુલ્લક કારણોસર લંબાવાયું પણ હતું.
![](https://ekkhabar.online/wp-content/uploads/2023/12/93991542_3140625895968978_2255429606511214592_n.jpg)
કોઈ અધિકારીનું નામ આપ્યા વિના ચિંતન વૈષ્ણવે જણાવ્યું હતું કે, કારકિર્દીના પ્રારંભમાં તેમને કેટલાક આવા અધિકારી સાથે પનારો પડ્યો હતો. જેમણે નાની બાબતને મોટું સ્વરુપ આપીને પ્રોબેશન પિરિયડને લેખિત આદેશ વિના લંબાવી દેવાયો, આ જ કારણોસર પ્રમોશનથી પણ વંચિત રખાયા. આખરે 2019માં પોતાને નોકરીમાથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, તેમના પર કોઈ આરોપ નહોતો છતાંય કામગીરી નબળી અને વર્તણૂંક ખરાબ હોવાનું બોગસ કારણ આપી ફરજ પરથી દૂર કરી દેવામાં આવ્યા હતા.
પરંતુ તાજેતરમાં આ ઝાંબાજ અધિકારીને ડેપ્યુટી કલેકટર તરીકે બઢતી મળતા જ ખુશીની લહેર પ્રસરી રહી છે.
![](https://ekkhabar.online/wp-content/uploads/2023/12/88977590_3031233096908259_505834615030677504_n-1024x473.jpg)