News Updates
NATIONAL

મોદીએ ગુજરાતને આપી 4400 કરોડની ભેટ:કહ્યું- PM આવાસ યોજનાથી બીજેપીએ દેશની કરોડો બહેનોને લાખોપતિ દીદી બનાવી, શિક્ષકોને પણ સમજાવ્યા

Spread the love

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. અમદાવાદના એરપોર્ટ પર મોદી આવી પહોંચતા તેમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં ઓલ ઈન્ડિયા પ્રાઇમેરી ટીચર્સ ફેડરેશનના કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. અહીં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા છે. અહીં કાર્યક્રમ પૂરો કરી નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિરે પહોંચ્યા છે. રૂ.1946 કરોડના ખર્ચે બનેલા 42,441 આવાસોનું લોકાર્પણ કર્યું હતું. નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, અમે સરકારના આવાસમાં માતા-બહેનનું નામ જોડ્યું, લખપતિ દીદી હિન્દુસ્તાનના દરેક ખૂણામાંથી મને આશીર્વાદ આપે છે

તમે ભાવનગરના ગાંઠિયા ખાતા રહેજો
નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓ સાથે સંવાદ શરૂ કર્યો હતો. ભાવનગરના લાભાર્થીને કહ્યું હતું કે, તમે ભાવનગરના ગાંઠિયા ખાતા રહેજો. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સરકાર લાભાર્થીઓ પાસે ખુદ જઈ રહી છે. સરકારે ભેદભાવ સમાપ્ત કર્યો છે. લાભાર્થીઓમાં સરકાર નથી ધર્મ જોતી કે નથી જ્ઞાતિ જોતી. પરંતુ બધાને એકસમાન મળે છે. જ્યાં કોઈ ભેદભાવ નહીં ત્યાં જ સાચો સર્વધર્મ સંમભાવ છે. દેશમાં શુદ્ધ હવા મળે તે નિશમ મોડની દિશામાં કામ ચાલી રહ્યું છે. ગુજરાતમાં ગરીબ હોય કે મધ્યમ વર્ગ પણ બધાની જિંદગી સરળ કરી છે. વિકાસની આ ગતિને નિરંતર બનાવી રાખવાની છે.

વિકાસે જે રફ્તાર પકડી છે તે જોઈને હું ખૂબ જ આનંદમાં છું
નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે,. વિકાસે જે રફ્તાર પકડી છે તે જોઈને મને ખૂબ જ આનંદ અનુભવું છું, હાલમાં ગરબી કલ્યાણ માટે 3 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના 25 લાખ લોકોને આયુષ્યમાન કાર્ડ આપ્યું છે. 2 લાખ સગર્ભાને માતૃ વંદના હેઠળ સહાય આપવામાં આવી છે. ગુજરાતના હજારો લોકો માટે રોજગારી લાવવાના છીએ. એક સમય હતો કે જીવનની મૂળભૂત સુવિધાઓ માટે દેશના લોકોને દૂર રાખ્યા હતા. ઘણા લોકોએ માની લીધુ હતું કે, હું ઝુપડીમાં જન્મ્યો અને મારી આવનારી પેઢી પણ ઝુપડીમાં જન્મશે. આ સ્થિતિમાંથી દેશ બહાર આવી રહ્યો છે. દરેક ગરીબ સુધી પહોંચી રહ્યા છીએ.

વડાપ્રધાને શિક્ષકોને શું કહ્યું?
નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે,.આજે મુખ્યમંત્રી ખાદીના શર્ટ-પેન્ટમાં જોવા મળ્યા છે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવમાં વિકાસમાં શિક્ષકોનો મહત્વનો ફાળો છે. એક સમયે ગુજરાતમાં ડ્રોપઆઉટ રેટ 40 ટકા આસપાસ હતો. આજે 3 ટકા કરતા ઓછો છે. આ ગુજરાતના શિક્ષકોના સહયોગથી જ સંભવ થયું છે. તમને ખબર છે કે, તમારી સ્કૂલનો જન્મદિવસ ક્યારે હતો. આ પરંપરા ચાલુ કરવી જોઈએ કે સ્કૂલનો જન્મદિવસ ઉજવવો જોઈએ. જૂના શિક્ષકોને એકત્ર કરી આ ઉજવણી શરૂ કરવી જોઈએ. સ્કૂલને ખબર નહીં હોતી કે, તેના વિદ્યાર્થીઓ ભણીને ક્યાં સુધી પહોંચી ગયા છે. ઊંચા હોદ્દા પર પહોંચેલા અધિકારીઓ વિશે સ્કૂલને જ ખબર હોતી નથી કે, તે પોતાની સ્કૂલનો વિદ્યાર્થી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના મહિલા સશક્તિકરણની તાકાત
નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે,. 2014 બાદ ગરીબનું ઘર પર પાકી છત સુધી સીમિત નથી રાખ્યું, ગરીબી હટાવવાનો પ્રયાસ કર્યો છે. પીએમ આવાસ યોજના હેઠળ તેમનું ઘર કેવું બનશે તેના પર ધ્યાન આપ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનતા ઘરોમાં એક યોજના નહીં અનેક યોજનાઓ જોડાયેલી છે. ગરીબોની બધી જ સુવિધાઓ સાથે મફ્ત રાશન મળે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના મહિલા સશક્તિકરણને પણ તાકાત આપે છે. 70 ટકા ઘર મહિલાઓના નામે છે. પહેલીવાર તેમના નામે પ્રોપર્ટી કરી છે. સરકારના આવાસમાં હવે માતા-બહેનનું નામ જોડવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસમાં લોકો ઘરમાં રહેવા ગયા છે એ કરોડોના માલિક બન્યા છે.

અહીં બેઠેલા તમામ શિક્ષકો ગર્વ અનુભવશે
નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ઉમરગામથી અંબાજી સુધી સાયન્સ સ્ટ્રીમનો અભ્યાસ જ કોઈ નહોતા કરતા, વિદેશમાં નેતાઓને મળું છું એ લોકો જે વાત જણાવે છે તે અહીં બેઠેલા તમામ શિક્ષકો ગર્વ અનુભવશે. ભારતીય શિક્ષકોનું કેટલું યોગદાન રહેલું છે તેનું ગર્વ સાથે વર્ણન કરું છું. હું સાઉદી ગયો તો ત્યારે ત્યાંના રાજવી પરિવારે મને કહ્યું કે, તમને હું બહું પ્રેમ કરું છું, કારણ કે, મારા શિક્ષક ભારત અને તેમાંય ગુજરાતના હતા. WHOના પ્રેસિડેન્ટે મને કહ્યું હતું કે, તમે મને ભેટ સોગાત આપો અને સાર્વજનિક રીતે દેવી પડશે. મેં પણ સાર્વજનિક રીતે WHOના પ્રેસિડેન્ટનું નામ તુલસી રાખ્યું હતું.

8-9 વર્ષના વિદ્યાર્થીઓ શિક્ષકોને ચેલેન્જ આપે છે
નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આજ પ્રાથમિક શિક્ષકોના આ કાર્યક્રમમાં હું તમને મન ખોલીને વાત કરવા માગું છું. 21મી સદીમાં ભારતની શિક્ષણ વ્યવસ્થા બદલી રહી છે, શિક્ષકો, વિદ્યાર્થીઓ બદલી રહ્યા છે. પહેલા સંશાધનોની અછત હતી. આજ સુવિધાઓની અછત હતી તે ધીરે ધીરે દૂર થઈ રહી છે. આજે વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસથી ભરેલા છે. 8-9 વર્ષના વિદ્યાર્થીઓ શિક્ષકોને ચેલેન્જ આપે છે. અહીંયા બેઠેલા શિક્ષકોને અનુભવ હશે કે, વિદ્યાર્થીઓ તમારી પાસે કઠિન પ્રશ્નો લઈને આવતા હશે.

ગુગલમાંથી ડેટા મળી શકે છે પણ નિર્ણય પોતાએ જ લેવો પડે છે
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, આ ચેલેન્જને શિક્ષકો કેવી રીતે હલ કરે છે તેની પણ સક્ષતા ધરાવે છે. આ ચેલેન્જ આપણને લર્ન, અનલર્ન અને વી લર્ન કરવાનો મોકો આપે છે. શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓને ગાઇડ અને એક્ટર પણ બનાવે છે. ગુગલમાંથી ડેટા મળી શકે છે પણ નિર્ણય પોતાએ જ લેવો પડે છે

એક ગુરૂ જ શિષ્યની હાલત સમજી શકે છે
નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે, માત્ર ગુરૂ જ શિષ્યને સમજાવી શકે છે કે, કઈ જાણકારી ઉપયોગી છે અને કઈ નથી. એક ગુરૂ જ શિષ્યની હાલત સમજીને તેની બધી મુશ્કેલીઓ દૂર કરી પ્રેરિત કરે છે. આ દુનિયાની કોઈ ટેકનોલોજી શીખવાડી શકતી નથી. ઇન્ફોર્મેશનની ભરમાર હોય ત્યારે વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ થઈ જાય છે કે કઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું. આ માટે આજની સદીના વિદ્યાર્થીઓ માટે શિક્ષકોની ભૂમિકા મહત્વની થઈ ગઈ છે. હું તમને કોઈ ઉપદેશ દેવા આવ્યો નથી. તમે પળવાર માટે ભૂલી જાવ કે તમે શિક્ષક છો, તમારા સંતાનો વિશે વિચારો તો એવું જ મનમાં આવે કે આપણા બાળકોને સારું શિક્ષણ મળે. તમે તમારા સંતાનો માટે ઇચ્છો છો તે તમારા વિદ્યાર્થીઓ સાથે પણ વર્તો.

પ્રાઇમેરી શિક્ષકોનો રોલ ખૂબ મહત્વનો હોય છે
વધુમાં જણાવ્યું હતું કે, પ્રાઇમેરી શિક્ષકોનો રોલ ખૂબ મહત્વનો હોય છે. હાલ તમે જે સ્કૂલોમાં કાર્યરત છો ત્યાં નવી શિક્ષણ નીતિ લાગુ થઈ ગઈ હશે અથવા તો લાગુ થવાની હશે. દેશના લાખો શિક્ષકોએ આ શિક્ષણ નીતિ બનાવવામાં ફાળો આપ્યો છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રેક્ટિકલ છે. ટિચીંગ અને લર્નિંગથી જ શિક્ષણને આગળ વધારવાનું છે. પહેલા સાંજે વિદ્યાર્થીઓ ઘરે જતા ત્યારે શિક્ષકો હોમ વર્ક નહીં પણ બીજું કામ સોંપતા હતા.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને સફળ બનાવવા તમારું યોગદાન જરૂરી
વધુમાં જણાવ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને સફળ બનાવવા તમારું યોગદાન જરૂરી છે. 250 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું પણ અંગ્રેજી એક વર્ગ પૂરતી જ સીમિત રહી ગઈ. અમે માતૃભાષા પર શિક્ષણ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હાલ સ્થિતિ છે તેમાં જોઈએ છીએ કે, કોઈ ડોક્ટર, કોઈ એન્જિનિયર બનવાની વાત કરે છે. પરંતુ ઓછા લોકો કહે છે કે, મારે શિક્ષક બનવું છે.

એવું વિચાર્યું કે, બાળકોને રોજ નવું શીખવવું છે
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, નોકરી માટે બાળકોને ભણાવીએ છીએ, પગાર પણ મળે છે. પણ એવું વિચાર્યું કે, બાળકોને રોજ નવું શીખવવું છે. હું મુખ્યમંત્રી બન્યો ત્યારે મારી ઇચ્છા હતી કે, હું શિક્ષકોને બોલાવીને તેમનું સન્માન કરું, જેમાં એક શિક્ષકની ઉંમર 93 વર્ષ હતી. આજે પણ હું તમામ શિક્ષકો સાથે સંપર્કમાં છું. આજકાલ લગ્નોમાં મોટા લોકોને બોલાવવામાં આવે છે પણ કોઈ શિક્ષકને આમંત્રણ આપતું નથી.

ગુજરાતના વિકાસમાં શિક્ષકોનો મહત્વનો ભાગઃ CM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન હંમેશા કહે છે કે, કંકણમાંથી શંકર બનાવે, તેઓએ શિક્ષણ અને શિક્ષકનું મહત્ત્વ આપ્યું છે. તમે સૌ ભાવિ પેઢીના વિશ્વકર્મા છો. શિક્ષકે પોતાની જાત અપડેટ અને અપ ટુ ડેટ રાખવી પડે છે. બે દાયકામાં ગુજરાતે જે વિકાસ કર્યો છે તેમાં શિક્ષકોનો મહત્વનો ભાગ છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અતર્ગત ગુજરાત સરકારે કામ કર્યું છે.

અમદાવાદના રૂ. 1545 કરોડના કાર્યોનું ઇ- લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવાસ યોજના અને વિવિધ પ્રોજેકટના રૂ. 1545 કરોડના કાર્યોનું ઇ- લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે. અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર ઔડા દ્વારા બનાવેલા વિવાદાસ્પદ મુમુતપુરા ઓવરબ્રિજનું વડાપ્રધાન દ્વારા ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે, અમદાવાદમાં પાલડી ટાગોર હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ, શહેરના ધારાસભ્યો, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત તમામ ધારાસભ્ય અને ચેરમેન, ડે.ચેરમેન, કોર્પોરેટરો, મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન અને અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

આવાસના 7 હજાર લાભાર્થી ઉપસ્થિત
કાર્યક્રમમાં શહેરી અને ગ્રામીણ યોજનાના સાત લાભાર્થીઓને તેમના ઘરની ચાવીનું વિતરણ કરવામાં આવશે. નરેન્દ્ર મોદી વીડિયો લિંક દ્વારા લાભાર્થીઓ સાથે સંવાદ કરશે અને ત્યારબાદ કાર્યક્રમને અનુરૂપ સંબોધન કરશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) પર એક ટૂંકી ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવશે. શહેરી વિસ્તારના 4000 લાભાર્થીઓ અને ગ્રામીણ વિસ્તારના 3000 મળીને કુલ 7000 લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે.

અમદાવાદના વર્ચ્યુઅલી 1545 કરોડના કામોનું લોકાર્પણ કરશે
નરેન્દ્ર મોદી ઓનલાઇન 1545.47 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. જેમાં 78.88 કરોડના કામોનું લોકાર્પણ અને 1466.59 કરોડના કામોનું ખાતમૂર્હત થશે. જે કામોનું લોકાર્પણ થવાનું છે, તે કામો ડ્રેનેજ પ્રોજેક્ટના છે, જેમાં બાપુનગર વોર્ડમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે 30 એમએલડીનો નવો એસટીપી પ્લાન્ટ બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે.

1466.59 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે
ગોતામાં 28.63 કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, 27.17 કરોડના ખર્ચે ઓડ કમોડ સુધી પાઇપાલન નાંખવી, 63.58 કરોડના ખર્ચે મહેનતપુરાના છાપરાના રિડેવલપમેન્ટની કામગીરી, 267.67 કરોડના ખર્ચે નરોડા પાટીયાથી ગેલેક્સી સુધી ઓવર બ્રિજ, 127.67 કરોડના ખર્ચે વાડજ ખાતે ઓવર બ્રિજ, 103.63 કરોડના ખર્ચે સત્તાધાર જંકશન પર ઓવર બ્રિજ, 641.02 કરોડના ખર્ચે શહેરના રોડ બનાવવાની કામગીરી મળી કુલ રૂ. 1466.59 કરોડના કામોનું ખાતમુહૂર્ત થશે.

વડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાદ ધારાસભ્યો સાથે બેઠક
વડાપ્રધાન ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવનાર છે. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશન કાર્યક્રમ તથા અમૃત આવાસોત્સવ કાર્યક્રમમાં હાજરી આપનાર છે. આ દરમિયાન વડાપ્રધાને બે કલાક જેટલો સમય અનામત રાખ્યો છે. ત્યારે આ સમય દરમિયાન રાજકીય ચર્ચા કરવા માટે પ્રદેશના નેતાઓ તથા હોદ્દેદારો સાથે વાતચીત કરે તેવી પણ સંભાવના સેવવામાં આવી રહી છે.

મંત્રીઓ સાથે વડાપ્રધાનની શુભેચ્છા મુલાકાત યોજાશે
વડાપ્રધાનની ગુજરાત મુલાકાત દરમિયાન રાખવામાં આવેલા અનામત સમયમાં વડાપ્રધાન ગુજરાતના વર્તમાન મંત્રી મંડળના તમામ સભ્યો સાથે એક બાદ એક રૂબરૂ મુલાકાત કરશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. આ મુલાકાત દરમિયાન જે તે મંત્રીના વિભાગની કામગીરી તથા સરકારી વિવિધ યોજનાઓ અંગે ચર્ચા થાય તેવી સંભાવના છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી તરફથી સુચનો અને માર્ગદર્શન મળે તેવી શક્યતા છે.

ભાજપના તમામ ધારાસભ્ય-મંત્રીની બેઠક યોજાશે
ધારાસભ્યો સાથે સંકલન કરતા એક વિશ્વસનીય નેતા સાથે વાતચીત થયા મુજબ, તમામ ધારાસભ્યોને ગાંધીનગર ખાતે ત્રણ દિવસ હાજર રહેવાની સુચના આપવામાં આવી છે. આ તમામ ધારાસભ્યો સાથે બેઠક યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. તમામ ધારાસભ્યોની હાજરી રહેશે તો બીજી તરફ સંગઠનના પદાધિકારીઓ પણ હાજર રહેશે. આ ઉપરાંત મંત્રીઓને પણ કમલમ ખાતે હાજર રહેવાની સુચના આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

વડાપ્રધાન સરકારી કામગીરીની સમીક્ષા કરશે
ગુજરાતમાં સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ ભાજપ સરકાર હવે જેટ ગતિએ કામ કરી રહી છે. આવા સંજોગોમાં સરકારી કામગીરીની સમીક્ષા વડાપ્રધાન કરી શકે છે. પ્રજાકીય યોજનાઓ તથા લોકોને મળતા લાભ વધુ ઝડપથી કેવી રીતે મળી શકે તે માટે સંગઠના ઉચ્ચ નેતાઓ તથા ગુજરાત સરકારના મુખિયા સાથે સંવાદ કરી અને સમીક્ષા કરી શકે તેવી સંભાવના છે.


Spread the love

Related posts

MLA ‘ધ કેરલા સ્ટોરી’ વિનામૂલ્યે દેખાડશે:બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારે તા.11 થી 13 મે સુધી મહિલાઓને ફિલ્મ દેખાડવાની સોશિયલ મીડિયામાં જાહેરાત કરી

Team News Updates

આ દિવસથી ખુલશે બદ્રીનાથ ધામના કપાટ, જાણો તારીખ અને સમય

Team News Updates

કર્ણાટકમાં ભાજપે હાર સ્વીકારી:રાહુલ ગાંધીએ કહ્યું- કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થયું, પ્રેમની દુકાન ખૂલી

Team News Updates