કોરોનાથી વધુને વધુ વેપારીઓનો ભોગ લેવાતો હોવાથી ગભરાટ: જરૂર પડયે લોકડાઉન લંબાવવાનો પણ મૂડ: ગોલ્ડ ડીલર્સ એસોસીએશન સાથે સોનીબજારના અન્ય સંગઠનો પણ જોડાવાનો નિર્દેશ
રાજકોટ સોનીબજારના વેપારી-પરિવારોમાં કોરોનાના વધતા કેસ અને મોતથી ઝવેરીઓમાં ફફડાટ વધી રહ્યો છે ત્યારે ભયભીત જવેલર્સોએ ફરી એક વખત સ્વૈચ્છીક લોકડાઉનનો માર્ગ અપનાવ્યો છે. તા.12ને શનિવારથી તા.19 સુધી તમામ જવેલર્સોએ શોરૂમ બંધ રાખીને સંક્રમણ રોકવામાટેનો પ્રયાસ કરવાનો નિર્ણય લીધો છે.
કોરોના મહામારી વધુ ઘાતક બની રહી છે અને અત્યાર સુધીમાં 30થી વધુ સોની વેપારીઓ કે તેમના પરિવારજનોનો ભોગ લેવાઈ ગયો છે ત્યારે ભયભીત બનેલા ઝવેરીઓએ એક સપ્તાહનું લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસીએશને સ્વૈચ્છીક લોકડાઉનની દિશામાં વિચારણા શરુ કરી હતી તેને મોટાભાગના વેપારીઓએ સમર્થન આપ્યુ હતું.
ઉપરાંત સોનીબજારના વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય એસોસીએશનો પણ તેમાં સામેલ થાય તેવી શકયતા છે. રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસીએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલીયાએ જણાવ્યું હતું કે તમામ વેપારીઓ સંમત થાય તો સર્વસંમતિથી જ નિર્ણય લેવાનું નકકી થયુ હતું. ગોલ્ડ ડીલર્સ એસોસીએશન સાથે સંકળાયેલા 175 થી વધુ જવેલર્સોને સરકયુલર મોકલવામાં આવ્યા હતા.
મોટાભાગના ઝવેરીઓના પોઝીટીવ રીપ્લાય આવ્યાને પગલે શનિવારથી એક સપ્તાહ સુધી તમામ જવેલર્સ-શોરૂમ બંધ રાખવાનું નકકી કરાયું છે. રાધિકા જવેલર્સના અશોકભાઈ ઝીંઝુવાડીયાએ જણાવ્યું હતું કે સોનીબજારના અનેક નાના-મોટા વેપારીઓ સંક્રમીત બન્યા હતા. અન્ય એસોસીએશનો પણ સ્વૈચ્છીક લોકડાઉનમાં સામેલ થાય તે માટે ચર્ચા કરવામાં આવી રહી છે. કોરોનાએ સાર્વત્રિક સંક્રમણ સર્જયુ છે એટલે અન્ય એસોસીએશન પણ સ્વૈચ્છીક લોકડાઉનમાં સામેલ થવાની વિચારણા કરી જ રહ્યા છે.
રાજકોટમાં છેલ્લા ચોવીસ કલાકમાં જ વધુ બે સોની વેપારીઓનો કોરોનાથી સ્વર્ગવાસ થયા છે. અત્યાર સુધીમાં 30થી વધુનો ભોગ લેવાયો છે એટલે માર્કેટમાં ગભરાટ છે જ.