![](https://ekkhabar.online/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-13-at-4.44.49-PM.jpeg)
શ્રીરામ જન્મભૂમિમાં ખોદકામ દરમિયાન મળી આવેલા પ્રાચીન મંદિરના અવશેષોની તસવીર સામે આવી છે. એમાં ઘણી મૂર્તિઓ અને સ્તંભો દેખાય છે. આ અવશેષો 21 વર્ષ પહેલાં, એટલે કે 2002માં ASIની ટીમને ખોદકામ દરમિયાન મળ્યા હતા. અવશેષોની સંખ્યા લગભગ 50 છે, જેમાં 8 તૂટેલા સ્તંભ, 6 ખંડિત મૂર્તિ, 5-6 માટીનાં વાસણો અને 6-7 કળશ છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે આ તસવીર જાહેર કરી છે.
![](https://ekkhabar.online/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-13-at-4.44.59-PM.jpeg)
સાધુ- સંતોએ દાવો કર્યો છે કે આ અવશેષો 500 વર્ષ જૂના છે. આ અવશેષો 21 વર્ષ પહેલાં રામલલ્લા મંદિરના ગર્ભગૃહની આસપાસ ખોદકામ દરમિયાન મળી આવ્યા હતા. જ્યાંથી આ અવશેષો મળ્યા એ વિવાદાસ્પદ સ્થળ પર પહેલા રામ મંદિર હતું. બ્રિટિશકાળ દરમિયાન એની પર અન્ય ધાર્મિક સંરચના બનાવવામાં આવી હતી. બાદમાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યારે ASI સર્વે કરવામાં આવ્યો, તો એ વિવાદાસ્પદ સ્થળ પરથી મંદિરોના આ અવશેષો મળી આવ્યા હતા, જે રામજન્મભૂમિની સત્યતા સાબિત કરવા માટે મજબૂત આધાર બન્યા હતા.
![](https://ekkhabar.online/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-13-at-4.45.23-PM.jpeg)
રામ મંદિરના એક્ઝિટ ગેટ પર મૂકવામાં આવ્યા છે
અવશેષોમાં કાલી કસૌટી પથ્થરથી બનેલા સ્તંભો, ગુલાબી રેતીના પથ્થરથી બનેલી દેવતાઓની મૂર્તિઓ, માટીના કળશ અને મંદિરમાં કોતરેલા પથ્થરોના ટુકડાઓનો સમાવેશ થાય છે. આ અવશેષોને હંગામી રામલલ્લાના મંદિરના એક્ઝિટ ગેટ પાસે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. રામલલ્લાનાં દર્શન કર્યાં બાદ ભક્તોને આ ગેલરી જોવા મળે છે.
![](https://ekkhabar.online/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-13-at-4.45.45-PM.jpeg)
‘જન્મભૂમિ મેળવવા માટે કરવામાં આવેલો સંઘર્ષ દરેક હિન્દુએ જાણવો જોઈએ’
શ્રીરામ વલ્લભકુંજના વડા સ્વામી રાજકુમાર દાસે જણાવ્યું હતું કે “ફોટોએ અમને બધાને મંદિર આંદોલનના સંઘર્ષની યાદ અપાવી છે. સનાતન ધર્મને માનતા દરેક જણે શ્રીરામજન્મભૂમિ મેળવવા માટે કરવામાં આવેલા સંઘર્ષને જાણવો જોઈએ.
![](https://ekkhabar.online/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-13-at-4.45.51-PM.jpeg)
જો આ પુરાવા ન મળ્યા હોત તો જન્મસ્થળ સરળતાથી મળી શક્યું ન હોતઃ ડૉ. ભરત દાસ
ઉદાસીન ઋષિ આશ્રમ રાણોપાલીના મહંત ડૉ. ભરત દાસે કહ્યું, “દરેક રામભક્તે રામ મંદિરનો ઈતિહાસ જાણવો જોઈએ. આના પરથી તેમને ખબર પડશે કે આપણા પૂર્વજોએ આ માટે ઘણું લોહી અને પરસેવો વહાવ્યો છે. જો આ પુરાવા ન મળ્યા હોત તો આપણને રામજન્મભૂમિ આટલી સરળતાથી મળી ન હોત.
![](https://ekkhabar.online/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-13-at-4.46.00-PM.jpeg)
ગ્રાઉન્ડ ફ્લોર બનાવવામાં આવી રહ્યો છે, 14 દરવાજા તૈયાર છે
અહીં, શ્રીરામ જન્મભૂમિ પરનું મંદિર ઝડપથી ભવ્ય આકાર લઈ રહ્યું છે. 22 જાન્યુઆરીએ મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. શનિવારે મકાન બાંધકામ સમિતિની બેઠક મળી હતી. બેઠક બાદ સમિતિના અધિકારીઓએ જણાવ્યું હતું કે “હાલમાં મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું માળખું બનાવવામાં આવી રહ્યું છે. એ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થશે. તમામ 14 ગ્રાઉન્ડ ફ્લોર દરવાજા બનીને તૈયાર થઈ ગયા છે.
![](https://ekkhabar.online/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-13-at-4.46.06-PM.jpeg)
170 પિલર પર ગ્રાઉન્ડ ફ્લોર ઊભો રહેશે
“ગ્રાઉન્ડ ફ્લોર 170 પિલર પર ઊભો છે,” તેમણે કહ્યું, એમાં દેવી-દેવતાઓની સુંદર કોતરણી કરવામાં આવી રહી છે. આ કામ હૈદરાબાદના કારીગરો કરી રહ્યા છે. મંદિરના દરવાજા
આ લાકડાં મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાંથી મગાવવામાં આવ્યાં છે. પહેલા માળના થાંભલા ગ્રાઉન્ડ ફ્લોરની ઉપર ઊભા કરવામાં આવ્યા છે. છતને મોલ્ડિંગનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. ગર્ભગૃહની કોતરણીવાળી છત નીચે ભવ્ય સિંહાસન પર રામલલ્લા બિરાજમાન થશે. મંદિરનું ગર્ભગૃહ સફેદ આરસના 6 સ્તંભ પર બનેલું છે, જ્યારે બહારના સ્તંભો ગુલાબી રેતીના પથ્થરના છે.
અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટનને 5 મહિના બાકી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન આવાસ પર પીએમ મોદી સાથે મુલાકાત કરી છે. પીએમ મોદીએ અયોધ્યામાં સરકાર પાસે કેટલી જમીન ઉપલબ્ધ છે એની માહિતી લીધી હતી. તેમણે અયોધ્યામાં જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા પર ભાર મૂક્યો હતો.