News Updates
VADODARA

ચાલુ ટ્રેનમાં હાર્ટ એટેકથી મોત:અયોધ્યામાં રામલ્લલાના દર્શન કરી પરત ફરતા વડોદરાના મજાતન ગામના રામભક્ત ઢળી પડ્યા, સારવાર મળે તે પહેલા જ અંતિમ શ્વાસ લીધા

Spread the love

અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે જઈ રહ્યા છે. રેલવે વિભાગ દ્વારા પણ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રામભક્ત અયોધ્યા ખાતે રામલ્લાના દર્શન કરીને આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં પરત ફરી રહ્યા હતા, તે સમયે વહેલી સવારે તેમને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું હતું. ચાલુ ટ્રેનમાં રામભક્તનું મૃત્યુ થતાં સાથે ગયેલા ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

ચાલુ ટ્રેનમાં હાર્ટ એટેક આવ્યો
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મજાતન ગામના રહેવાસી અને રામભક્ત અશોકભાઈ પુંજાભાઈ પરમાર રામજન્મ ભૂમિ અયોધ્યા ખાતે આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં બેસીને રામલલ્લાના દર્શન માટે ગયા હતા. રામભક્ત અશોકભાઈએ અયોધ્યા મંદિરમાં જઈને રામલલ્લાના દર્શન કર્યાં હતા અને ત્યારબાદ અયોધ્યાથી ટ્રેન મારફતે વડોદરા પરત ફરી રહ્યા હતા. આ સમયે મધ્યપ્રદેશના જબલપુર નજીક વહેલી સવારે રામભક્ત અશોકભાઈને ચાલુ ટ્રેનમાં હાર્ટ એટેક આવ્યો હતો. સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું.

વતનમાં અંતિમસંસ્કાર કરાશે
જબલપુર રેલવે પોલીસ વિભાગે અશોકભાઇના મૃતદેહને જબલપુરની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ ઘટનાની જાણ પાદરા ખાતે મજાતન ગામમાં અશોકભાઈના પરિવારજનોને કરવામાં આવી હતી. જેથી તેમના પરિવારજનો અશોકભાઈના મૃતદેહને લેવા મધ્યપ્રદેશના જબલપુર ખાતે રવાના થયા હતા. તેમના મૃતદેહને વતન મજાતન લાવીને અંતિમંસંસ્કાર કરવામાં આવશે.

અગાઉ પણ એક ભક્તનું ટ્રેનમાં મૃત્યુ થયું હતું
ઉલ્લેખનીય છે કે, 15 દિવસ પહેલા વડોદરાના સુંદરપુરા ગામના 67 વર્ષના માજી સરપંચ રમણભાઈ બાબુભાઈ પાટણવાડી વડોદરાથી ઉપડેલી આસ્થા ટ્રેનમાં અયોધ્યા રામલલ્લાના દર્શન કરવા માટે ગયા હતા. જ્યાં ચાલુ ટ્રેનમાં તેઓને હાર્ટ-એટેક આવતા મોત થયું હતું. આ બનાવને પગલે સાથી યાત્રિકો અને તેઓના ગામમાં સમાચાર પહોંચતા ગમગીની ફેલાઈ ગઈ હતી.

2 ટર્મ સરપંચ રહ્યા હતા
અયોધ્યા રામલલ્લાના દર્શન કરવા માટે જઇ રહેલા રમણભાઈ પાટણવાડિયા સુંદરપુરા ગામમાં 2 ટર્મ સરપંચ રહી ચૂક્યા હતા અને ગામનો વિકાસ કર્યો હતો. તેઓ પરિવારમાં પત્ની સહિત બહોળા પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે. માજી સરપંચ રમણભાઇ પાટણવાડીયાના મોતને પગલે સુંદરપુરા ગામમાં ગમગીની ફેલાવી દીધી છે.


Spread the love

Related posts

547મો પ્રાદુરભાવ ઉત્સવ વલ્લભાચાર્યજી મહાપ્રભુનો:આવતીકાલે વ્રજરાજકુમારજીની અધ્યક્ષતામાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ઉત્સવની ઉજવણી થશે

Team News Updates

Vadodara:ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે લીધા ઘાયલ દર્દીના ટાંકા , વડોદરાની SSG હોસ્પિટલ ફરી વિવાદમાં

Team News Updates

વડોદરામાં બુટલેગરના ઘરે PCBની રેડ:ઘરમાં બનાવેલા ચોરખાના તો ઠીક ડીજેના સ્પીકરની અંદરથી પણ દારૂની બોટલો નીકળી, 1ની ધરપકડ, 3 વોન્ટેડ

Team News Updates