સુરતમાં ગત મોડીરાત્રે 11.30 વાગ્યા આસપાસ મોટા વરાછા રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં 7 લોકોને ઉડાડ્યા હતા, જેમાં માસા અને માસૂમ ભાણેજનું મોત નીપજ્યાં હતાં અને 5ને ઈજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, એમાંથી બેની હાલત ગંભીર છે. એમાંય એક તો સગર્ભા છે તેમજ કારે ચાર જેટલા ટૂ-વ્હીલરને પણ ઉડાડતાં એક બાઈક કારની નીચે આવી જતાં ઢસડાઈ હતી. ઉલ્લેખનીય છે કે અકસ્માતનો ભોગ બનેલા લોકો રિંગ રોડની સાઈડમાં ટૂ-વ્હીલરો પર બેઠા હતા.
![](https://ekkhabar.online/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-08-at-12.45.29-PM.jpeg)
![](https://ekkhabar.online/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-08-at-12.45.58-PM.jpeg)
- વિયાન દેવેશભાઈ વાઘાણી (ઉં.વ. 6)- પુત્ર
- દેવેશભાઈ વાઘાણી- પિતા
- સંકેત હિંમતભાઈ વાવડિયા (ઉં.વ. 29)- વિયાનના માસા
![](https://ekkhabar.online/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-08-at-12.46.21-PM.jpeg)
આરોપી જિજ્ઞેશ અમૃતલાલ ગોહિલ (ઉં.વ. 40)ની પોલીસે ધરપકડ કરી લીધી છે. સુરતમાં દરજીકામ કરે છે. મૂળ વલ્લભીપુરના રાજપરા ગામનો વતની છે.
![](https://ekkhabar.online/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-08-at-12.46.36-PM.jpeg)
ઉત્રાણ પોલીસ સ્ટેશનના પીઆઇ એ.ડી. મહંતે જણાવ્યું હતું કે જિજ્ઞેશ અમૃતલાલ ગોહિલ નામની વ્યક્તિ દ્વારા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. તે અમરોલીના સ્ટાર ગેલેક્સી છાપરાભાઠા રોડ વરિયાવ વિસ્તારમાં રહે છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું છે કે પોતાના અમદાવાદના સંબંધી જે કેન્સરથી પીડિત છે તેના અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખબરઅંતર પૂછીને પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન તે સુરતના રિંગ રોડ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન એકાએક ઝોકું આવી જતાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને એના કારણે અકસ્માત થયો હતો.
![](https://ekkhabar.online/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-08-at-12.46.53-PM.jpeg)
પોલીસ દ્વારા હાલ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી નશાની હાલતમાં હતો કે કેમ એને લઈને બ્રિથ એનેલાઇઝરથી તપાસ કરવામાં આવી છે તેમજ બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યાં છે. આરોપી અકસ્માત સમયે નશાની હાલતમાં ન હોવાનું જણાય આવ્યું છે. પોલીસ દ્વારા હજી પણ તમામ પાસાંની તપાસ કરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરી લેવામાં આવી છે. આરોપીની સામે ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો છે. જોકે આરોપી દારૂ પીધેલી હાલતમાં ન હોવાનું મેડિકલ ચેકઅપના પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું છે.
![](https://ekkhabar.online/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-08-at-12.47.52-PM.jpeg)
જિજ્ઞેશ મેયાણીએ જણાવ્યું હતું કે કાલે રાત્રે મારી બે બહેન, મારા બન્ને જીજાજી, મારો ભાણજ અને મારી નાની બહેન, નાનો ભાઈ વેલેંજા રિંગ રોડે બેસવા ગયાં હતાં. તેઓ તમામ રોડની એકદમ સાઈડમાં બેઠાં હતાં. ત્યાંથી એક કારચાલક ફુલ ઝડપથી જાણે આ લોકોને ઉડાવવા આવ્યો હોય એમ કાર બધાની માથે ચડાવી દીધી હતી. આ ઘટનામાં મારો ભાણો અને એક જીજાજીનું મૃત્યું થયું છે અને પાંચ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ છે. મારી અન્ય એક બહેનની અને જીજાજીની હાલત ગંભીર છે. મારી એટલી જ માગ છે આવા લોકોને સખતમાં સખત સજા થવી જોઈએ. તે કદી બહાર ન આવવો જોઈએ.
![](https://ekkhabar.online/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-08-at-12.47.58-PM.jpeg)
મળતી માહિતી પ્રમાણે, મોડીરાત્રે બે વાગ્યા આસપાસ મોટા વરાછા રિંગ રોડ વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડી રહેલી કારના ચાલકે કારના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ત્યાં સાઈડમાં બાઈક પર બેઠેલા 6 લોકોને અટફેટે લીધા હતા.
![](https://ekkhabar.online/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-08-at-12.48.08-PM.jpeg)
જ્યારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાઓને વરાછા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ચાર રસ્તે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ઉતરણ પોલીસ દ્વારા આ કારચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અકસ્માતમાં બચી ગયેલા અજય મિયાણીએ જણાવ્યું હતું કે અમારી એક બહેન ગામડેથી આવી હતી એટલે અમે બધા ત્યાં બેસવા ગયા હતા. પરમદિવસે અમારે પણ કામ હોવાથી ગામડે જવાનું હતું. આથી અમે બધાં બેઠાં હતાં, અચાનક 100 કિમીની ઝડપે કાર આવી અને બધાને ઉડાડ્યા હતા. અકસ્માત જોવાની મારી હિંમત જ નહોતી, હું પોતે ભાનમાં નહોતો. મને એક પગમાં, છાતી અને એક હાથમાં ઇજા થઈ છે. ફ્રેક્ચર થઈ ગયું હોય એવું લાગે છે. મારા પરિવારમાં ભાણેજ અને જીજાજી એક્સપાયર થઈ ગયા છે.