ગુજરાતના 56 પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મીઓ અને એસઆરપીના જવાનોને કેન્દ્ર સરકારના ઉત્કૃષ્ટ સેવા પદક અને અતિ ઉત્કૃષ્ટ સેવા પદક આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની અતિ ઉત્કૃષ્ટ સેવા પદક માટે પસંદગી કરવામાં આવી છે. 26 જાન્યુઆરી અને 15 ઓગષ્ટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવાની જાહેરાત કરાય છે.
કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્કૃષ્ટ સેવા પદક અને અતિ ઉત્કૃષ્ટ સેવાપદક આપવાનું શરૂ કરાયું છે. જે પણ પોલીસ અધિકારી કે કર્મચારીની 15 વર્ષથી લઈ 25 વર્ષની સેવા હોય તેમને ઉત્કૃષ્ટ સેવા પદક અને 25 વર્ષથી વધુની સેવા હોય તો અતિ ઉત્કૃષ્ટ સેવા પદક આપવામાં આવે છે. આ માટે જુદા જુદા દસ માપદંડો નક્કી કરવામાં આવે છે. જેમાં માર્ક આપવામાં આવે છે. રાજય સરકાર દ્વારા આ કવાયત કરી કેન્દ્ર સરકારને નામો મોકલવામાં આવે છે. જેના આધારે સંબંધીત કિમિટ જે તે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના નામની પસંદગી કરે છે.
1995ની બેચના આઈપીએસ અધિકારી અને એડિશનલ ડીજી રેન્કના અધિકારી શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની પણ આ વખતે અતિ ઉત્કૃષ્ટ સેવા પદક માટે પસંદગી થઈ છે. આ ઉપરાંત ઉત્કૃષ્ટ સેવા પદક માટે ગોંડલ એસઆરપી ગૃપ-8ના નાયબ પોલીસ અધિક્ષક મહેશભાઈ પરમાર, જામનગરના જિલ્લાના એસઆરપી ગૃપ-17 ના નાયબ પોલીસ અધિક્ષક મુકેશચંદ્ર પટેલ, એસઆરપી ગૃપ-21 બેડ ‘જામનગર કેમ્પના પીએસઆઈ ભુપેન્દ્રસીંગ બામણીયાની પસંદગી કરવામાં આવી છે. જયારે અતિ ઉત્કૃષ્ટ સેવા પદક માટે એસઆરપી ગૃપ-21 બેડી જામનગર કેમ્પના પીએસઆઈ મહેશચંદ્ર ભાલારા, ગોંડલ એસઆરપી ગૃપ-8ના બે એએસઆઈ ગોકલ આલ, સુવીરસિંહ ચૌહાણ, આર્મ્ડ હેડકોન્ટેબલ મનુભાઈ ચારણ અને મયપાલસિંહ ઝાલા ઘંટેશ્વર એસઆરપી ગૃપ-13ના આર્મ્ડ કોન્ટેબલની પસંદગી કરવામાં આવી છે.